અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી ધરપકડ કરી છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યું છે.
સેશન્સ કોર્ટે અવલોકન કર્યું હતું કે હાઇકોર્ટની સુચના છતાં વારંવાર કોર્ટમાં તે ગેરહાજર રહે છે. તેથી તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કરવામા આવે છે. આજની સુનાવણીમાં આ કેસમાં અન્ય આરોપીઓ ચિરાગ પટેલ અને દિનેશ બાભણીયા હાજર રહ્યા હતા. આજ રોજ કોર્ટમાં પાટીદાર આંદોલન વખતના ઉપસચિવની આજે ઉલટતપાસ રાખવામા આવી હતી. જે આરોપીઓની વિનંતીથી રાખવામા આવી હતી. દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલના વકીલ ઉલટ તપાસ માટે તૈયાર હતા પરંતુ હાર્દિક હાજર રહ્યો ન હતો તેથી સુનાવણી ટળી હતી. આ કેસમાં હવે વઘુ સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરાશે
સેશન્સ કોર્ટના મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલના વકીલ ઉલટ તપાસ માટે તૈયાર હતા પરંતુ હાર્દિક હાજર રહ્યો ન હતો અને તેના વકીલે હાજર રહી તે આવી શકે તેમ નથી તેવુ કોર્ટને જણાવ્યું હતું. હાર્દિકના વકીલે કેસમાં મુદ્દત માંગી હતી અને કહ્યું હતું કે કેસની તૈયારી કરવાની છે અને પેપર મેળવવાના છે. જેનો સરકાર તરફી વાંધો લેવામા આવ્યો હતો. કહ્યુ હતુ કે આરોપી વારંવાર ગેરહાજર હાજર રહે છે. ટ્રાયલ ડીલે કરે છે અને જેના કારણે કેસ આગળ ચાલતો નથી. તેથી કોર્ટે પોતાના હુકમમાં એવુ નોધ્યું કે હાર્દિક પટેલને જામીન પર હાઈકોર્ટે છોડેલ છે અને એવો સ્પષ્ટ હુકમ કરેલો છે કે ટ્રાયલ દરમ્યાન તે કોર્ટને સહકાર આપશે સામે તે બિલકુલ સહકાર આપતો નથી અને ભુતકાળ જોતા તે સંખ્યાબંધ વખત ગેરહાજર રહી આવી અરજીઓ આપી છે. તેથી કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કરતો હુકમ કર્યો છે.
