નવી દિલ્હી : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું. તેમણે આ સંબોધનમાં કહ્યું હતું કે લોકતંત્રમાં સત્તા અને વિપક્ષની ભૂમિકા મહત્વની છે. સંઘર્ષ કરનાર લોકોએ ખાસ કરીને યુવાઓએ ગાંધીજીનો અહિંસાનો સંદેશો યાદ રાખવો જોઈએ. તેમણે ઉજ્જવલા યોજનાથી લઈને સૌભાગ્ય અને આયુષ્યમાન યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે નાગરિકોએ સરકારના અભિયાનોને જન અભિયાનનું રુપ આપ્યું છે. ભાગદારીની આ ભાવના બીજા શ્રેત્રોમાં જોવા મળે છે. ઉજ્જવલા યોજનામાં 8 કરોડ લોકો સામેલ થઈ ચૂક્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ઉજ્જવલાની ઉપલબ્ધિ ગર્વ કરવા લાયક છે. સૌભાગ્ય યોજનાથી લોકોના જીવનમાં રોશની આવી છે. વધતા જળ સંકટથી નિપટવા માટે જલ શક્તિ મંત્રાલયનું ગઠન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સરકારની દરેક નીતિ પાછળ મોટી ભાવના છે સૌથી પહેલા રાષ્ટ્ર આપણું. આપણે દેશના સંપૂર્ણ હિસ્સાનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. દેશ માટે સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા હોવી જરુરી છે. છેલ્લા 7 દાયકામાં આપણે ઘણી ઉપલબ્ધિ મેળવી છે. આયુષ્યમાન યોજના દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની ગઈ છે. જેનરિક દવાઓના ઉપયોગથી દવા પર થનાર ખર્ચમાં ઘટાડો આવ્યો છે.
