નવી દિલ્હી : 31 ડિસેમ્બરની રાત્રે ગોરખપુરના સાંસદ રવિ કિશન ના પિતા શ્યામ નારાયણ શુક્લાનું 92 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતા. તેમની ટ્રીટમેન્ટ મુંબઈની હોસ્પિટલમાં ચાલી રહી હતી પણ તબિયતમાં સુધારો નહોતો. રવિ કિશનના પિતાએ આખરે વારાણસીમાં અંતિમ શ્વાસ લેવાની ઇચ્છા વ્યક્ત કરતા તેમને 15 દિવસ પહેલાં વારાણસી લાવવામાં આવ્યા હતા.
રવિ કિશને ટ્વિટ કરીને પિતાના મૃત્યુની માહિતી આપી છે અને આજે તેમના અંતિમ સંસ્કાર મણિકર્ણિકાઘાટ પર કરવામાં આવશે. રવિ કિશનના પિતા શિવના આરાધક હતા અને એટલે તેમણે વારાણસીમાં દેહત્યાગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રવિ કિશન પોતાના પિતાને પોતાના ગુરુ માનતો હતો અને તેમના માર્ગદર્શન પ્રમાણે જ નિર્ણય લેતો હતો.
રવિ કિશનનો પરિવાર મૂળ જૌનપુરનો રહેવાસી હતો. રવિ કિશને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના પિતાનો ડેરીનો બિઝનેસ હતો જે બંધ થઈ ગયો હતો અને તેના પિતા ઇચ્છતા હતા કે તે આ બિઝનેસ શરૂ કરે. જોકે રવિ કિશનને એક્ટિંગનો શોખ હતો અને તેની માતાએ 500 રૂપિયા આપ્યા હતા જે લઈને તે એક્ટિંગ કરવા જૌનપુરથી મુંબઈ આવ્યો હતો.
રવિ કિશને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે મારા પિતાનું માનવું હતું કે મારો જન્મ ઇશ્વરના આશીર્વાદથી થયો છે અને જો મારા પિતાએ યોગ્ય સમયે મારી ધોલાઈ ન કરી હોત તો હું નશેબાજ હોત. મારા પિતાએ જ મને રાત્રે જલ્દી સોવાની અને સવારે વહેલા ઉઠવાની સલાહ આપી હતી. મારા પિતાને કારણે જ હું આધ્યાત્મ સાથે જોડાણ અનુભવું છું.
