શાપરમાં બંધ મકાનમાંથી રૂા. 1.20 લાખની ચોરી
જામનગર તા 22
જામનગર શહેરમાં એક રહેણાંક મકાન અને એક દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની પોલીસ ફરિયાદ થઇ છે. જ્યારે જામનગર તાલુકાના શાપર ગામ માં બંધ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી એક લાખ વીસ હજારની રોકડ રકમ સહિતની માલમત્તા ઉઠાવી ગયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
જામનગર ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલી રાજેન્દ્ર કુમાર એન્ડ કંપની નામની અનાજ કરીયાણાની દુકાને ગત 16 2012 થી 17.6.2022 સુધીના સમયગાળા દરમિયાન દુકાનને નિશાન બનાવી લીધી હતી, અને ઉપરના માળે થી સિમેન્ટનું પતરૂ તોડી દુકાનમાં પ્રવેશ મેળવી લીધો હતો, અને દુકાનમાંથી ટેબલના ખાનામાં લોક તોડી અંદર રાખેલી રૃપિયા 43 હજારની રોકડ રકમની ચોરી કરી લઇ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે દુકાનદાર કપીલભાઈ રાજેન્દ્રકુમાર ફાફડિયાએ પોલીસને જાણ કરી હતી, અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત જામનગરમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતા શંકરલાલ મહેશચંદ્ર અડવાણી નામના વ્યક્તિએ પોતાના રહેણાંક મકાનને ગત 14.6.2022 થી 21.6.2022 સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા 31,500 ની રોકડ રકમની ચોરી કરી લઇ ગયાનું પોલીસમાં જાહેર કર્યું છે. જે ચોરીની ફરિયાદના અનુસંધાને પોલીસનો કાફલો દોડતો થયો છે, અને બે શકમંદોને ઉઠાવી લઈ આકરી પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત ચોરીના ત્રીજો બનાવ જામનગર તાલુકાના શાપર ગામ માં બન્યો હતો. જયાં રહેતા ધનજીભાઈ હરજીભાઈ ના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ મેળવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ વગેરે મળી કુલ એક લાખ વીસ હજારની માલમતાની ચોરી કરી લઇ ગયા હતા.
જે ચોરીના બનાવ અંગે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.