સુરતમાં રત્ન કલાકારે પરિવાર સાથે સજોડે ઝેર પીધુ : પત્ની-પુત્રી અને પુત્રના મોત

મંદીના ખપ્પરમાં પરિવાર હોમાયો : બં સંતાનો બહાર હોવાથી બચી ગયા

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.8
સુરતમાં સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા મુળ ભાવનગર જિલ્લાના એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પી લેતાં ટૂંકી સારવાર બાદ પત્ની, પુત્રી અને પુત્રએ પણ દમ તોડી દેતા એક જ પરિવારમાં ત્રણ સભ્યના મોત નીપજ્યા છે. જ્યારે પિતાની હાલત ગંભીર છે. પુત્ર હાલમાં જ ધો.12માં પાસ થયો હતો. રત્નકલાકારે દવા પીધા બાદ પિતરાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીને સાચવી લેજે. આપઘાત પહેલા રત્નાકલાકારે વીડિયોરૂૂપી સુસાઇડ રેકોર્ડ કરી હતી. જેમાં તે બોલે છે કે, હું સારો પતિ, પુત્ર કે પતિ ન બની શક્યો. આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે પરિવાર સાથે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે
એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયાં છે. સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના સિહોરનાવતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા (ઉં.વ.55) હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નીપજ્યું હતું. બાદમાં સેનિતાએ પણ અંતિમ શ્ર્વાસ લીધા હતા અને ત્યારબાદ પુત્ર ક્રિશે પણ દમ તોડી દીધો હતો. મોરડિયા પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ પર જાહેરમાં ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારબાદ તેના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારો એક દીકરો અને દીકરી ઘરે છે તેની સાર સંભાળ રાખજો. વિનુભાઈને ચાર સંતાનો છે. જેમાંથી બે સંતાનો હાલ ઘરે છે. જ્યારે આ સામૂહિક આપઘાત અને આપઘાતના પ્રયાસમાં કુલ ત્રણના મોત નીપજ્યા છે અને વિનુભાઈ સારવાર હેઠળ છે.વધુમાં જણાવ્યું હતું કે, સારવાર હેઠળ રહેલા વિનુભાઈ પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવે તે પહેલા એક સુસાઈડ નોટરૂૂપી વીડિયો બનાવ્યો હતો. જેમાં વિનુભાઈ બોલે છે કે, મારે હવે આપઘાત કરવા સિવાય કોઈ આ આખરી રસ્તો નથી. હું સારો પિતાના બની ન શક્યો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ તેણે આપઘાત કરી લીધો હતો. હાલ વીડિયો એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. વિનુભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હોય અને હાલમાં હીરામાં મંદી ચાલી રહી છે. આથી આર્થિક સંકડામણના કારણે તેમણે પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાની શંકા સેવાઇ રહી છે. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પરિવારના આ પગલા બાબતે તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ