સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ
જિલ્લાના દૂધરેજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આજના મોંઘવારીના યુગમાં આર્થિક સંકડામણ અને પતિની બેરોજગારી એક મહિલા માટે જીવલેણ સાબિત થઈ છે. પોતાની વ્હાલસોયી દીકરીને ઘોડિયામાં નિરાંતે સુવડાવીને માતાએ મોતને વહાલું કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, દૂધરેજમાં રહેતા આધાબેન વ્યાસના લગ્ન ડોડીયા ખાતે થયા હતા.લગ્નજીવન બાદ તેમના ઘરે નાની દીકરીનો જન્મ થયો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમના પતિને ક્યાંય નોકરી મળતી નહોતી. પતિ લાંબા સમયથી બેરોજગાર હોવાને કારણે ઘરની આર્થિક સ્થિતિ કથળી રહી હતી. આ આર્થિક ખેંચતાણને કારણે આધાબેન સતત માનસિક ચિંતામાં રહેતા હતા.
આધાબેને પોતાની નાની બાળકીને ઘોડિયામાં સુવડાવી હતી. માસૂમ બાળકીને શું ખબર કે તેની માતા તેને હંમેશા માટે છોડીને જઈ રહી છે. બાળકી ઊંઘી ગયા બાદ આધાબેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારના સભ્યોને આ અંગે જાણ થઈ ત્યારે તેમના પર આભ ફાટી પડ્યું હતું.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે કરી પંચનામું કર્યા બાદ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પતિની બેરોજગારી જ આત્મહત્યાનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.