42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે: પાલખીયાત્રા, ચાર પ્રહર પૂજા, મારુતિ થીમ ઉપર પાર્થિવલિંગ પૂજા, મહામૃત્યુંજય જાપ યજ્ઞ, સોમેશ્ર્વર પૂજા, સંધ્યા શણગાર, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ ધર્મમય આયોજનો
દેશના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ અને આયોજનો કરાઈ રહ્યા છે, ઘડાઈ રહેલા આયોજન મુજબ મહાશિવરાત્રીએ એટલે કે 15 ફેબ્રુઆરીએ દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 4-00 વાગ્યે ખુલશે. જે બીજે દિવસે એટલે કે તા.16 ફેબ્રુઆરીના રોજ રાત્રીના 10 વાગ્યે બંધ થશે. આમ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. સોમનાથ ટ્રસ્ટ મહાશિવરાત્રીએ પોતાના તરફથી પ્રથમ ધજાનું પૂજન કરી સોમનાથ દાદાના શિખરે ધજારોહણ કરશે. મહાશિવરાત્રીના
દિવસે સોમનાથ મંદિર પરિસરમાં ઢોલ-શરણાઈ, પવિત્ર વેદ મંત્રોચ્ચાર અને ધૂન-ભજન વાજતે-ગાજતે શિવ પાલખીયાત્રા કાઢવામાં આવશે. હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ, બિલ્વપૂજા, પાધપૂજા, સોમેશ્વર પૂજા, મહામૃત્યુંજય જાપ પશ, સંધ્યા શણગાર, ચાર પ્રહર પૂજા, પાર્થેશ્વર પૂજા સહિતના વિવિધ કાર્યક્રમો પણ આયોજનમાં આવરી લેવાશે.સોમનાથ ટ્રસ્ટ તરફથી માત્ર રૂપિયા 25 માં બિલ્વપૂજા થઈ શકે અને ભાવિક પોષ્ટના માધ્યમથી મહાદેવની પ્રસાદી મેળવી શકે તે માટેની યોજના પણ જાહેર કરાયેલ છે. તેવી જ રીતે મહાશિવરાત્રીના પર્વે સોમનાથના સમુદ્ર તટે નિયત રકમમાં રજિસ્ટ્રેશન કરાવવાથી સોમનાથ સમુદ્ર તટે મારૂતિ બીચ ઉપર શાસ્ત્રોકત વિધિવિધાન સાથે પાર્થિવ શિવલિંગની સમુહ મહાપૂજા યોજાશે. શિવરાત્રીને અનુલક્ષી સોમનાથ ખાતે ચાર થી પાંચ વિશાળ ભોજન ભંડારા ખાતે ભાવિકોને નિ:શુલ્ક ભોજન-ફરાળ પ્રસાદી ઉપલબ્ધ કરાવશે. બહારગામથી પગપાળા કે બસોમાં સંઘ સમાજ કે ધાર્મિક ભકતજનો સોમનાથ શિવરાત્રીએ ખાસ સોમનાથ આવી પહોંચશે. સોમનાથ શિવરાત્રી ચાર પ્રહર પૂજા આરતી, જેમાં રાત્રે પ્રથમ પ્રહરમાં આરતી અને રાત્રે 9-30 જ્યોત પૂજન. બીજા પ્રહર પૂજા રાત્રે 11-00 મધ્યરાત્રીએ અને આરતી રાત્રે 12-30 કલાકે. ત્રીજા પ્રહર પૂજા રાત્રે 2-45 કલાકે અને આરતી રાત્રે 3-30. ચોથા પ્રહર પૂજા પ્રાત: 4-45 કલાકે અને આરતી પ્રાત: 5-30. આ રીતે જોઈએ તો 15 અને 16 ફેબ્રુઆરીના રોજ બે દિવસ પૂજા, આરતી અનુષ્ઠ ન સતત ચાલુ રહેશે. આ અંગેનો વિગતવાર સત્તાવાર કાર્યક્રમ આયોજનની તડામાર તૈયારીઓ થઈ રહી છે.