સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે….
હાઈકોર્ટના નિર્ણયથી ચૂંટણી અધિકારીઓને મોટી રાહત
અમદાવાદ: ગુજરાતમાં મતદાનના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે, 24મી એપ્રિલના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી રાજ્યભરના એવા ચૂંટણી અધિકારીઓને મોટી રાહત મળી છે જેમણે ચુસ્ત સમયમર્યાદામાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરી હતી. મતદાનના માત્ર બે દિવસ પહેલા આવેલા આ ચુકાદાએ ચૂંટણી પ્રક્રિયામાં પેદા થયેલી અનિશ્ચિતતાના વાદળો હટાવી દીધા છે અને પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના અવરોધ વિના મતદાનનો માર્ગ મોકળો કર્યો છે.
આ સમગ્ર વિવાદ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ફાઇલ કરવામાં આવેલી 18 જેટલી પિટિશનને કારણે સર્જાયો હતો. જેમાં ઉમેદવારોએ તેમના નામાંકન પત્રો રદ કરવાના ચૂંટણી અધિકારીઓના નિર્ણયને પડકાર્યો હતો. જસ્ટિસ એન.એસ. સંજય ગૌડા અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ડિવિઝન બેન્ચે સુરેન્દ્રનગર, ભાવનગર, બનાસકાંઠા, દાહોદ, વડોદરા, થરાદ, ગાંધીનગર, સુરત, કચ્છ, પોરબંદર અને વલસાડ સહિતના જિલ્લાઓના કેસોની સુનાવણી કરી હતી. વિવિધ કિસ્સાઓમાં ઉમેદવારી પત્રો રદ થવા પાછળ ગંભીર કારણો સામે આવ્યા હતા, જેમ કે સુરેેન્દ્રનગરમાં ખોટા વોર્ડમાંથી ફોર્મ ભરવું અને દરખાસ્ત કરનારની સહીઓનો અભાવ, ભાવનગરમાં ગુનાહિત ઈતિહાસ છુપાવવો, દાહોદમાં મ્યુનિસિપલ લેણાં બાકી હોવા અને વડોદરામાં રહેઠાણની પાત્રતાના નિયમોનું પાલન ન થવું વગેરે.
અરજદારો દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ ભૂલો માત્ર ટેકનિકલ કે નાની હતી, પરંતુ રાજ્ય સરકાર વતી સરકારી વકીલ જી.એચ. વિર્કે આ દલીલોનો મજબૂત વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આ માત્ર નાની ક્લાર્ક લેવલની ભૂલો નથી પરંતુ માહિતી છુપાવવાના ગંભીર કિસ્સાઓ છે. મતદારોને ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ વિશે જાણવાનો અધિકાર છે જે છુપાવવામાં આવ્યો હતો. વધુમાં, ચૂંટણી અધિકારીઓએ ઉમેદવારોને ચકાસણી દરમિયાન સુધારા કરવાની તક આપી હોવા છતાં તેઓ સમયમર્યાદામાં સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ રહ્યા હતા. રાજ્ય સરકારે મક્કમ વલણ અપનાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા એકવાર શરૂ થયા પછી તેને વચ્ચેથી અટકાવી શકાય નહીં, કારણ કે તેનાથી સમગ્ર પ્રક્રિયા ખોરવાઈ જવાની ભીતિ રહે છે.
હાઈકોર્ટે આ તબક્કે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતા સ્પષ્ટ કર્યું કે વ્યક્તિગત વિવાદો રાજ્યવ્યાપી લોકશાહી કવાયતમાં અવરોધ બની શકે નહીં. આ કાયદાકીય વિજયને રાજકીય ગલિયારાઓમાં પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય જૂથોના અનેક ઉમેદવારોના પડકારો નિષ્ફળ જતાં હવે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માટે મતદાનના દિવસ સુધીનો માર્ગ વધુ સુગમ અને અવરોધરહિત બન્યો હોવાનું જોવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટના આ સીમાચિહ્નરૂપ નિર્ણયથી હવે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધશે.
: નામની યાદી :
ક્રમ જિલ્લો નામ
1 સુરેેન્દ્રનગર મોરી પ્રિયમ હસમુખભાઈ
2 ભાવનગર અરવિંદભાઈ ચતુરભાઈ પરમાર
3 બનાસકાંઠા રમેશભાઈ શિરમાભાઈ ખાંટ
4 દાહોદ લક્ષ્મણભાઈ લાલાભાઈ રાજગોર
5 વડોદરા વાંસદિયા હેમલતાબેન વિપુલસિંહ
6 વાવ-થરાદ સંતોકબેન હિતેશભાઈ મકવાણા
7 ગાંધીનગર રીતલબેન લાલજીભાઈ ગદાધરા
8 સુરત ભૂપેન્દ્રકુમાર છગનલાલ પટેલ
9 વડોદરા ગૌરાંગ બોબો શાંતિલાલ ભાટીયા
10 કચ્છ ખુશાલ મુકેશ હંસરાજ જોશી
11 વાવ-થરાદ કલ્પનાબેન સુરેશભાઈ માળી
12 વલસાડ કલાવતીબેન મગનભાઈ ટંડેલ
13 ગાંધીનગર માનસિંહ બાબાજી ઠાકોર
14 ભાવનગર સંજયખાન હયાતખાન બલોચ
15 સુરેેન્દ્રનગર પ્રિયંકાબેન ઈલેશભાઈ મેતલિયા
16 મહેસાણા રવિ કનૈયાલાલ પટેલ
17 અરવલ્લી સુનિતાબેન ભરતભાઈ કટારા
18 વાવ-થરાદ મશરૂભાઈ નરસંગજી પટેલ