Jai Hind

આગામી સપ્તાહથી જનરલ બોર્ડમાં વરણી આજથી ફરી ભાજપનું પાર્લીયામેન્ટ્રી બોેર્ડ : નવા સુકાનીઓ ફાઈનલ થશે


15 મનપાના મેયર, 33 જિલ્લા અને 270થી વધુ તાલુકા પંચાયતો અને નગરપાલિકાના પ્રમુખ સહિતની ટીમો પર વિચારણા થશે

ગુજરાતમાં ગત માસના અંતે યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપે લગભગ કલીન સ્વીપ જેવી સ્થિતિ સર્જયા બાદ હવે નવા મહાપાલિકા મેયર, જીલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખોની નિયુક્તિમાં પક્ષે રાજયભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી તથા નિરીક્ષકો દ્વારા પેનલ સહિતના રિપોર્ટ પક્ષની પાર્લીયામેન્ટ્રી બોર્ડને સુપ્રત કરી દેવાયા છે અને એક તબકકે પાર્લીયામેન્ટ્રી બોર્ડની પ્રથમ બેઠક મળી પણ હતી. પરંતુ વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી તેની પુર્વ તૈયારી હવે ગત સપ્તાહે મળનારી વધુ બેઠક મુલત્વી રાખવામાં આવી હતી.
હવે આજે શ્રી નરેન્દ્ર મોદીના સોમનાથ અને વડોદરાના કાર્યક્રમ પુરા થયા બાદ કાલથી ત્રણ દિવસ માટે પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક સતત મળશે અને રાજયભરમાં નવા 15 મહાપાલિકા મેયર, 33 જીલ્લા પંચાયતો, 280થી વધુ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના પ્રમુખો નિશ્ર્ચિત કરશે. આગામી ત્રણ દિવસમાં ફકત એક વખત મહાનગર, જીલ્લા પ્રમુખોની ટીમ ફરી ગાંધીનગર જશે અને ગુરુવાર સુધીમાં આ પ્રક્રિયા પુરી કરાશે તથા બાદમાં તુર્તજ નવા ચુંટાયેલા બોડીની જનરલ બોર્ડમાં નવા પદાધિકારીઓ સતા સંભાળી લેશે જેથી છેલ્લા ચાર માસથી જે રીતે આ સંસ્થાઓમાં વહીવટદાર શાસન છે તેનો પણ અંત આવશે. ચુંટણી આચાર સંહિતાના કારણે નવા કામો પણ અટકયા હતા અને હવે રાજય ચોમાસાની પણ તૈયારીઓ છે જેથી કૃષીની સીઝન શરૂ થશે તે માટે પણ વહીવટીતંત્રની તૈયારી થશે તથા પુરા રાજયમાં વહીવટીતંત્ર પણ ધમધમતુ થશે.
ભાજપ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિમાં આગામી વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચુંટણીઓની પુર્વ તૈયારીનો પણ પડઘો પડશે.

સ્થાનિક સંસ્થાઓના સુકાનીઓની વરણી બાદ આઈએએસ બદલીનો દૌર
ગુજરાતમાં એક વખત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવા પદાધિકારીઓ સતા સંભાળી લે તેની સામે આઈએએસમાં પણ બદલીનો નવો રાઉન્ડ આવી શકે છે. હાલ નવી મહાપાલિકાઓમાં જે કમિશ્ર્નરો નિયુક્ત થયા છે. તેમાં ઉપરાંત અનેક જીલ્લા કલેકટર- ડીડીઓ રેન્કના અધિકારીઓની બદલીની ચર્ચા ગાંધીનગરમાં છે તથા નવા મહાપાલિકાને ડેપ્યુટી કમિશ્ર્નર પણ આપવા પડશે તેની પણ ફાળવણી થશે. આ અંગેની ચર્ચામાં જો કે હાલ આઈપીએસ અધિકારીની બદલી થશે નહી તેવા સંકેત છે. સરકારે અમદાવાદ તથા અન્યત્ર જે રથયાત્રા યોજાવાની છે તેની રાહ જોશે અને તે પુરી થયા બાદ પોલીસ બદલી થશે. હજુ પોલીસ વડા પણ ઈન્ચાર્જ છે તેના પર પણ નિર્ણય લેવાનો છે. ગૃહ સચીવની જવાબદારી પણ મુખ્યમંત્રી સચીવ પાસે છે. તેમાં પણ ફેરફાર આવી શકે છે.