Jai Hind

પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજન મંડળની બેઠક યોજાઈ

જામનગર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, સિક્કા સહિતના વિસ્તારના વિકાસ માટે 1346 લાખના કામ મંજુર

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર પી.બી. પંડ્યાની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો, સરકારની કલ્યાણકારી યોજનાઓની અમલવારી તેમજ આગામી વિકાસ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રભારીમંત્રી ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા અને જિલ્લાના વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ પ્રકલ્પોની સ્થિતિ અંગે માહિતી મેળવી સમયબદ્ધ અને ગુણવત્તાસભર કામગીરી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા. જિલ્લામાં માર્ગ અને મકાન, પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, શહેરી સુવિધાઓ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓએ યોજનાઓ અને પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે માહિતી આપી હતી.
પ્રભારી મંત્રી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમને અનુરૂપ જિલ્લાના દરેક વિસ્તારમાં વિકાસના લાભો પહોંચે તે માટે સંકલિત પ્રયાસો જરૂરી છે. તેમણે જનહિતને કેન્દ્રમાં રાખી વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને લોકોની અપેક્ષાઓને સંતોષે તે રીતે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.બેઠકમાં જિલ્લાના વિકાસ માટે જરૂરી વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયગાળા માટેના આયોજન અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં જામનગર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર તથા જામજોધપુર તાલુકાના તથા ચાર નગરપાલિકાઓ ધ્રોલ, કાલાવડ,સિક્કા અને જામજોધપુરના વિકાસ કામો માટે કુલ રૂ.1346.35 લાખના કુલ 414 કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, મેયર મોનિકા વ્યાસ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, અગ્રણીઓ બીનાબેન કોઠારી, ડો.વિનોદભાઈ ભંડેરી, જામનગર જિલ્લા આયોજન અધીકારી, લગત વિભાગના અધિકારી ઓ વગેરે હાજર રહ્યા હતા.