અન્ય કાર્યક્રમો પણ રદ કરાયા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અચાનક દિલ્હીનું તેડું આવતા રાજકીય ચર્ચાએ જોર પકડયું છે. બન્નેના કાર્યક્રમો રદ કરાયા છે. કેબીનેટ મોકુફ રખાઇ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આજે અચાનક દિલ્હીનું તેડૂ આવતા બંન્ને નેતાઓના ગુજરાતના બે દિવસના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ગુજરાતના નંબરવન અને ટુ નેતાઓને અચાનક દિલ્હીનું તેડૂ આવતા રાજકીય ચર્ચાએ ફરી જોર પકડ્યુ છે.
જો કે, દિલ્હીમાં નીતિ આયોગની બેઠક અને વડાપ્રધાન મોદીના સળંગ 12 વર્ષના શાસનની ઉજવણીના આયોજનની ચર્ચા માટે મુખ્યમંત્રી અને નાયબ મુંખ્યમંત્રીને દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું જણાવાય છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે દિલ્હી પહોંચ્યા છે. જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા જનાર છે. જેના કારણે આવતીકાલે યોજાનાર કેબિનેટની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે.