700 કરોડનો પ્રોજેકટ ટેન્ડર વિનાં આપવા પ્રશ્ર્ને હાઈકોર્ટમાં દલીલ
રાજકોટ,તા.17
ચોટીલા પર રોપ-વે પ્રોજેક્ટના વિવાદમાંથયેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં ગુરુવારે અરજદાર તરફથી એવી ધારદાર દલીલ કરવામાં આવી હતી કે,‘ટેન્ડર વિના 700 કરોડનું રોપ-વેના પ્રોજેક્ટની ફાળવણી ‘મોરબી પુલ’ જેવી હોનારત સર્જશે. આ કામનો કોન્ટ્રાક્ટ ટેન્ડર કે અન્ય પ્રક્રિયા વિના સરકાર આપશે તો મોટી હોનારત સર્જાઇ શકે છે. મોરબીના પુલની હોનારતમાં ‘રોપ’ જ કારણભૂત હતું અને અહીં પણ ‘રોપ- વે’નો જ મુદ્દો છે. તેમ છતાંય સરકાર છેલ્લા 11 વર્ષથી એક એવી કંપનીને બારોબાર કોન્ટ્રાક્ટ આપવા માગે છે, જેને આ પ્રકારના પ્રોજેક્ટ કે કામનો કોઇ પણ જાતનો અનુભવ નથી.’ એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી મંગળવારના રોજ મુકરર કરી છે. આ મામલે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, ‘દેશમાં ખૂબ ઓછી કંપનીઓ છે, જેઓ રોપ-વેના નિર્માણનું કામ કરે છે. જ્યાં સુધી કાયદાની જોગવાઇઓનો સવાલ છે, ત્યાં સુધી બોમ્બે(હવે ગુજરાત) એરિયલ રોપ- વે એક્ટ હેઠળ આવા કામ માટે કોઇ પણ ટેન્ડર મગાવવાની જરૂૂર હોતી નથી.’ ત્યારે અરજદાર તરફથી દલીલ કરાઇ હતી કે,‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ગ્લોબલ ટેન્ડર મગાવાયા હતા. પાવાગઢ, ગીરનાર તમામ સ્થળોએ ટેન્ડર મંગાવ્યા બાદ જ રોપ-વેનું બાંધકામ કરાયું હતું. જોકે, એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે,‘પાવાગઢ, સાપુતારા, ગીરનાર આ તમામ બોમ્બે એરિયલ રોપ-વે એક્ટ હેઠળ જ રોપ-વે બનાવ્યા છે.’ અરજદારે કહ્યું હતું કે, ‘જે કંપનીને સરકાર કોન્ટ્રાક્ટ આપવા માગે છે, તે પ્રતિ વ્યક્તિ રોપ-વે માટે 230 રૂૂપિયા ચાર્જ રાખવાની છે અને 25થી 30 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટ ચાલે તો 700 કરોડ રૂૂપિયાનો સમગ્ર પ્રોજેક્ટ થાય છે.’અરજદાર શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા તરફથી એવી દલીલ કરાઇ હતી કે, ‘રોપ-વે બનાવવાનું કામ અત્યંત ગંભીર પ્રકારનું છે અને અનેક પ્રકારની ટેકનિક્લ તજજ્ઞતાની જરૂૂર હોય છે. વર્ષે અહીં 25 લાખ ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે. તેથી સીડીની સાથે જો અહીં રોપ-વે પણ હોય તો ભક્તોને સરળતા થશે એવો પ્રસ્તાવ સરકારને ખુદ અરજદાર ટ્રસ્ટે જ કર્યો હતો. 2008માં ટ્રસ્ટના પ્રસ્તાવના અનુસંધાને કામની શરૂૂઆત કરીને પ્રતિવાદી કંપનીને જાહેર હરાજી કે ટેન્ડર વિના રોપ-વેના કામનો કોન્ટ્રાક્ટ આપવાનો યેનકેન પ્રકારે પ્રયત્ન થઇ રહ્યો છે.