Jai Hind

ભાવનગર ગદ્યસભાનો 33મો સ્થાપના દિવસ વાર્તાપર્વ ઉજવાયો

ગદ્યકૃતિઓના વાચિકમ, મંચન અને મોનો એક્ટરૂપે ઉજવાયો

ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી (ભાવનગર) અને ભાવનગર ગદ્યસભાના સંયુક્ત ઉપક્રમે ગદ્યસભાના તેત્રીસમા સ્થાપનાદિન નિમિત્તે તેમજ ગદ્યસભાના સદગત સદસ્ય જયંતદાદા પાઠકની સ્મૃતિવંદના નિમિત્તે વાર્તાપર્વનો દ્વિતીય કાર્યક્રમ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે તાજેતરમાં યોજાઈ ગયો.
કાર્યક્રમની શરૂઆતમાં નટવરભાઈ વ્યાસ દ્વારા ગદ્યસભાની શરૂઆતથી લઈને આજ દિવસ સુધીની ગદ્યયાત્રા વિશે વાત કરવામાં આવી. તેમજ સ્વ. જયંતદાદા પાઠકની સ્મૃતિઓને તેમના પુત્ર હારિતભાઈએ શબ્દો થકી ઢંઢોળી.
ત્યારબાદ ગુજરાતી ભાષા ભવનના વિદ્યાર્થીઓ સાથે તરહ તરહની પ્રવૃત્તિઓ થકી તેઓને ગદ્ય ઘડતર માટે સજ્જ કરતા ડો. મહેન્દ્રસિંહ પરમારે ભાવનગર ગદ્યસભાના ગદ્યકારોનાં સર્વાંગી સર્જનની પ્રોસેસ વિશે ઉપસ્થિત સૌ સાહિત્ય પ્રેમીઓને માહિતગાર કર્યા.
ગદ્યકારોની સર્જન કરવાની ઇચ્છાને સંકોરીને તેને યોગ્ય કલાઘાટ આપતી પાઠશાળા એવી ભાવનગર ગદ્યસભાનાં વાર્તાકારોની કૃતિઓની બખૂબી રજૂઆત ગદ્યસભાની ટીમ દ્વારા વાચિકમ્ , મંચન અને મોનો એક્ટરૂપે કરવામાં આવેલ. આ પ્રત્યેક રજૂઆતને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવેલ. આ અનોખા વાર્તાપર્વના આયોજન નિમિત્તે વરિષ્ઠ સર્જક અને ગદ્યસભાના પ્રમુખ શ્રી ડો. ગંભીરસિંહ ગોહિલ તથા સુપ્રસિદ્ધ વાર્તાકાર અને ગદ્યસભાના સંવાહક શ્રી માય ડિયર જયુ સાહેબે ગદ્યસભાના સભ્યોને અભિનંદન અને આશીર્વચન પાઠવેલ. આ સાથે વાર્તાપર્વમાં રાજ્યકક્ષાએ સાહિત્ય-કલાની જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ગદ્યસભાના સભ્યો તથા ગુજરાતી ભાષા ભવનના વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવેલ. જેમાં જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધામાં રાજ્ય પ્રથમ આવેલ પ્રા.દિક્પાલસિંહ જાડેજા, મુંબઈ નાટ્યસ્પર્ધામાં સિલેક્ટ થયેલ ’ભણકારા’ નાટકના વિવેક પાઠક, રિદ્ધિ પાઠક અને શક્તિસિંહ પરમાર તથા રાજ્ય કક્ષાએ વિજેતા માઇમમાં ટીમ વતી ધવલભાઈનું બહુમાન કરવામાં આવેલ. ભાવનગર ગદ્યસભાના આ 33મા સ્થાપના દિવસ વાર્તાપર્વ 2નું આયોજન અજય ઓઝા તથા પ્રવીણ સરવૈયા દ્વારા ડો. મહેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આ વાર્તાપર્વનું સંચાલન ભાવિન રાઠોડ અને અક્ષર જાનીએ કર્યું હતું.