Jai Hind

વીતેલા વર્ષને બાય બાય કરવા મેઘરાજા આવી પહોંચ્યા; સૌરાષ્ટ્રમાં ભરશિયાળે મેઘસવારી: ઠેર ઠેર ધોધમાર માવઠુ

રાજકોટ સહિત દ્વારકા, ખંભાળીયા, પોરબંદર, માળીયા હાટીના સહિતના શહેરો-ગામોમાં કમોસમી વરસાદથી માર્ગો પર અને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા: થર્ટી ફર્સ્ટના આયોજનોમાં કયાંક રંગમાં ભંગ પડયો: માવઠાથી ખેતી પાકને નુકશાનની ભીતી

વર્ષ ર0રપને વિદાય આપવા જાણે મેઘરાજા આવ્યા હોય તેમ આજે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર કમોસમી ધોધમાર વરસાદ પડયો હતો. મેઘસવારીને પગલે ઠેર ઠેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આજે થર્ટી ફર્સ્ટ હોઇ અચાનક ધોધમાર માવઠુ થતા ઉત્સવની ઉજવણીમાં રંગમાં ભંગ પડયો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, દ્વારકા, ખંભાળીયા, જામનગર, માળીયા હાટીના સહિતના ગામો-શહેરોમાં માવઠુ વરસ્યું હતું. આ કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકશાનની ભીતી સેવાઇ રહી છે. રાજકોટમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો છે.
રાજકોટમાં ભર શિયાળે ચોમાસુ : માર્ગો પર પાણી ફરી વળ્યા
આજે રાજકોટમાં ભરશિયાળે ચોમાસાનો માહોલ જામ્યો હતો. સાંજે ધોધમાર વરસાદ તુટી પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી.
પોરબંદરમાં મેઘરાજાની એન્ટ્રી: ઠેર ઠેર પાણી ભરાયા
વહેલી સવારના સમયે જયારે લોકો ગાઢ ધુમ્મસની અપેક્ષા રાખતા હતા ત્યારે કાળા ડિબાંગ વાદળોના ગડગડાટ સાથે વરસાદ તુટી પડયો હતો. આશરે કલાક સુધી પડેલા અનરાધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં ચોમાસાની જેમ પાણી ભરાઇ ગયા હતા. શહેરના એમ.જી. રોડ સુદામા ચોક ચોપાટી વિસ્તાર અને ખાપટ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા લોકોમાં આ શિયાળો છે કે ચોમાસુ ? તેવી ચર્ચા જાગી હતી.
માવઠાએ માત્ર જનજીવન જ નહિ પરંતુ ખેતીવાડી ક્ષેત્રે પણ ચિંતા જગાવી છે. પોરબંદર જીલ્લાના ઘેડ પંથક અને આસપાસના ગામડાઓમાં શિયાળુ પાક જેવા કે જીરૂ,ધાણા, ચણા અને ઘઉંના પાકને આ વરસાદથી નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.
રાણાવાવ સહિત બરડા પંથકમાં કમોસમી વરસાદ
પોરબંદરમાં માત્ર શહેર જ નહી પરંતુ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળ્યા છે. રાણાવાવ નજીક પાવની સીમ સહીતના વાડી વિસ્તારોમાં બરડા પંથકના અમુક ગામડાઓમાં તથા બોખીરા તથા તેની આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘરાજાની એન્ટ્રી નોંધાઇ છે.
દ્વારકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો
દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. દ્વારકામાં વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય બજારના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ પાણી ફરી વળ્યા હતા. સરકારી ચોપડે આજરોજ બપોરે પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે. યાત્રાધામ દ્વારકામાં વર્ષના આ અંતિમ દિવસોમાં યાત્રાળુઓનો ભારે ધસારો હોવાથી, અચાનક આવેલા વરસાદને કારણે ભક્તોમાં પણ દોડધામ મચી ગઈ હતી. સુસવાટા મારતા ઠંડા પવન સાથેના આ માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.શિયાળામાં તડકાની જરૂરિયાત વચ્ચે પડેલા આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હાલ ખેતરોમાં જીરું, ચણા, ઘઉં અને ધાણા જેવો શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે પવન સાથેના આ વરસાદી માવઠાથી પાકમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખંભાળિયામાં વાતાવરણ પલટાયું: અમીછાંટણા વરસ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક સ્થળોએ અમીછાંટણા સાથે ઠંડીનું જોર પણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક સ્થળોએ હળવા છાંટા વરસ્યા હતા. ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકાના ગામો હંજડાપર, મોવાણ, સોનારડી, દાત્રાણા, જુવાનપુર સહિતના ગામોમાં કમોસમી માવઠું વરસતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને પાકને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે સૂર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા. બદલાતા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર પણ વધતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આ પરિસ્થિતિમાં તાવ, શરદી જેવા વાઇરલ રોગોનું પણ પ્રમાણ વધ્યું છે.
જામનગર પંથકમાં અનેક ગામડામાં અડધાથી એક ઇંચ વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 31 ડિસેમ્બર અને 1 લી જાન્યુઆરી ના કમૌસમી વરસાદ ની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ જામનગર પંચક માં આજે કેટલાક ગામડા ઓ માં વરસાદ થયાના વાવડ મળી રહ્યા છે. પરિણામે ખેડૂતો ને નુકશાન થયું છે. ભર શિયાળે જામનગર માં જીલ્લા ના અમુક ગ્રામય વિસ્તાર માં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવા માં આવેલી વરસાદ ની આગાહી સચોટ સાબિત થઈ છે. આજે સવાર થી જ જામનગર માં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સૂર્યનારાયણ અદ્રશ્ય થયા હતા. અને વરસાદી માહોલ બંધાયો હતો. તેમજ બપોર બાદ જામનગર શહેર માં છાંટા પડ્યા હતા. પરંતુ સમાણા રોડ , નારણપુર , દડીયા, લાલપુર રોડ અને ખંભાળિયા રોડ ના માર્ગે આવેલા કેટલાક ગામડા માં સારો વરસાદ થયો હતો.જે લગભગ અડધા થી એક ઇંચ સુધી વરસ્યો હોવાનું લોકો જણાવી રહ્યાં છે. આ કમોસમી માવઠા ને કારણે ખેડૂતો ને શિયાળુ પાકમાં નુકસાન થયું છે. હજુ ગુરુવારે પણ વરસાદની શક્યતા દર્શાવાય છે.
માળિયા હાટીના પંથકમાં મોસમી વરસાદ પડ્યો
પ્રમાણે આજે માળિયા હાટીના વિસ્તારમાં. કમોસમી વરસાદ પડ્યો હતો. આજે બપોર પછી માળિયા હાટીના માં વાદળીયું વાતાવરણ થઈ ગયું હતું. બપોરના ચાર વાગ્યા પછી. વડીયા ગિર જલંધર ગીર સહિત ના અમુક ગામોમાં વરસાદ પડ્યો હતો. માળિયા હાટીનામા પણ ભાડવાડી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જો કે સામાન્ય વરસાદ પડ્યો છે. ખેડૂતોને કોઇ નુકસાની નથી પણ વધુ વરસાદ પડે તો ઘઉં ચણા તુવેર અને ધાણાના પાકને મોટી નુકસાની થાય એમ વડીયા ગિરના ખેડૂત માનસિંગ ભાઈ સિસોદિયા એ જણાવ્યું છે.
રાજકોટમાં 0ાા ઇંચ પાણી પડયું
સૌરાષ્ટ્રમાં ઓખા દ્વારકા જામનગર પોરબંદરની સાથે રાજકોટમાં પણ એકાએક વરસાદના વાદળો ઉતરી આવ્યા હતા અને સમી સાંજે જ અંધારૂ છવાઇ ગયું હતું. સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં એકાએક વરસાદ તુટી પડયો હતો અને રસ્તા ઉપરથી પાણી વહેતા થઇ ગયા હતા. એકાએક વરસાદ શરૂ થતા લોકો ઓથ ગોતવા માટે અધીરા થઇ ગયા હતા. ફાયર બ્રિગેડમાં જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ ઝોનમાં 1ર એમ એમ (0ાા ઇંચ) ઇસ્ટ ઝોનમાં 9 એમએમ અને વેસ્ટ ઝોનમાં 7 એમએમ પાણી પડયાનું નોંધાયું હતું.