ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી પાલડી પ્રાથમિક શાળા પી.એમ.શ્રી ખાતે ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના 100 જેટલા બાળવૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કૃતિ ઓ રજૂ કરી હતી. માર્ગદર્શક શિક્ષકો તરીકે શાળાના તમામ શિક્ષકોએ જવાબદારી સંભાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શન નિહાળવા માટે ગ્રામજનો, વાલીઓ તેમજ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ વાળાએ તમામ વિદ્યાર્થીઓ આવી જ રીતે પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાળામાં યોજાતા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભાગ લે અને તેમની પ્રતિભા બહાર આવે તે તેમની શૈક્ષણિક કારકિર્દીના ઘડતરમાં ઉપયોગી બનશે. નાના અને છેવાડાના ગામના વિદ્યાર્થીઓમાં ધગશ અને આગળ વધવાની ઈચ્છા શક્તિ હોય છે, જેને બહાર લાવવી અત્યંત જરૂરી છે.