Jai Hind

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપથી બદલાતા વૈશ્વિક સત્તા-કેન્દ્રો, આર્થિક સમીકરણો અંગે જાણીતા જિયોપોલિટિકલ એક્સપર્ટનું વ્યાખ્યાન

ભારતીય વિચાર મંચ, ભાવનગર કેન્દ્ર તથા ભાવનગર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી એસોસિએશન (BESIA) ના સંયુક્ત ઉપક્રમે અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી Changing Global Order and the Upcoming Financial Reset rhje વિષય પર તા. 17 જાન્યુઆરી, 2026ના રોજ ઝવેરચંદ મેઘાણી મિની થિયેટર, સરદારનગર ખાતે વ્યાખ્યાનનું આયોજન થયું હતું. વ્યાખ્યાન દરમિયાન ડો. અંકિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આજનું વિશ્વ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં પશ્ચિમી દેશોના પ્રભુત્વ આધારિત વૈશ્વિક વ્યવસ્થાનું પુન:સંતુલન થઈ રહ્યું છે. ભારત, ચીન અને અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક મંચ પર નવી શક્તિ તરીકે ઉપસી રહી છે. આ પરિવર્તન માત્ર રાજકીય નથી, પરંતુ તેનો વ્યાપ આર્થિક, નાણાકીય, વ્યાપારિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ડો અંકિતભાઈ શાહે ફાઈનાન્સિયલ રિસેટની સંકલ્પનાને સરળ શબ્દોમાં સમજાવતા જણાવ્યું કે, અતિશય કરજ, ચલણનું અવમૂલ્યન અને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં ઘટતો વિશ્વાસ આ તમામ પરિબળો એક મૂળભૂત પુન:રચનાની માંગ કરે છે. આ પ્રક્રિયામાં ડી-ડોલરાઇઝેશન, ગોલ્ડના ભાવોમાં ફેરફાર, ડિજિટલ કરન્સી અને નવી આંતરરાષ્ટ્રીય ચુકવણી પદ્ધતિઓ મહત્વની ભૂમિકા ભજવશે.ડો. શાહે પોતાના વિશ્લેષણમાં અમેરિકા-ઈરાન સંઘર્ષ, વૈશ્વિક યુદ્ધોની સંભાવનાઓ, ફેડરલ રિઝર્વની નીતિઓ અને ગોલ્ડના ભાવ જેવા મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આત્મનિર્ભરતા, સ્વદેશી વિચારધારા અને સનાતન ઇકોનોમિક્સ જેવા મોડલ્સના આધારે ભારત આવનારા સમયમાં એક સ્થિર અને વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે ઊભરી શકે છે. આ કાર્યક્રમમાં, બેસિયા એસોસિએશન, ચેમ્બર અને ચિત્રા ઇન્ડસ્ટ્રી એશોસીએશનના મેમ્બર સહિત ભાવનગરના અનેક પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ સહિત કુલ 223 પ્રજ્ઞાવાન નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે અંકિતભાઈએ શ્રોતાઓના પ્રશ્નોના આપ્યા હતા અને સરસ પ્રશ્નો પૂછનાર વક્તિઓને પોતાનું લખેલું પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું હતું.