Jai Hind

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીએ ભવનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી

મુખ્યમંત્રીએ અખાડાઓના સાધુ સંતોના આશિર્વાદ મેળવી સંતોનું બહુમાન અભિવાદન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન – પૂજામાં જોડાયા હતાં.
મુખ્યમંત્રી એ મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું. સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રીશ્રીએ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. મુખ્યમંત્રી એ આસ્થાના મહાકુંભરૂપ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, હરિહરાનંદ બાપુ, મહેશગીરીબાપુ, મહેન્દ્રાનંદગીરીબાપુ, સંપૂર્ણાનંદજી બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, ભારદ્વાજગીરી બાપુ, બુદ્ધગીરી બાપુ, સોમનાથજી બાપુ સહિતના સાધુ સંતો સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ ખેસ અને ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. આ તકે જિલ્લાના પદાધિકારી – અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં મુખ્યમંત્રી નું જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું. આ સાથે જ ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયાનું પણ સ્મૃતિચિન્હ અર્પણ કરી વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે મહાશિવરાત્રીના મેળાની પ્રાથમિક ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રી એ ભવનાથ મંદિરના પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે વાતચીત કરી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું.
ભવનાથ મંદિર ખાતે મુખ્યમંત્રીને મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી ધવલભાઈ દવે, પુનિતભાઈ શર્મા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, અગ્રણી વેલજીભાઈ મસાણી સહિતના પદાધિકારી અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.