ભગવાન સ્વામિનારાયણના સમયથી તીર્થત્વ પામેલ બોટાદ જીલ્લાના સાળંગપુરની પવિત્ર ભૂમિ પર આવતીકાલે રવિવાર તા. 8 માર્ચના ઇઅઙજના મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્ય ’ફૂલદોલ ઉત્સવ’ (પુષ્પદોલોત્સવ) ઉજવાશે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સમયથી અત્યંત દબદબાભેર ઉજવાતી આ દિવ્ય પરંપરા આજે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં એ જ ભવ્યતાથી ઉજવાઈ રહી છે. આ મહોત્સવમાં સહભાગી થવા માટે વિશ્વના પાંચેય ખંડોમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો અને હરિભક્તો સારંગપુર ઉમટશે.
હજારો હરિભક્તો જ્યારે પધારવાના છે, ત્યારે સાળંગપુરમાં રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉત્સવની શોભા વિરાટ પાયે કરવામાં આવી છે. મુખ્ય ઉત્સવ માટે 7.5 લાખ ચોરસ ફૂટ જમીન પર એક વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં 125 ફૂટ લાંબો, 40 ફૂટ ઊંડો અને 40 ફૂટ ઊંચો એક ભવ્ય મુખ્ય મંચ બનાવવામાં આવ્યો છે. દૂર બેઠેલા ભક્તો પણ સારી રીતે દર્શન કરી શકે તે માટે સ્ટેજની મધ્યમાં અને બંને બાજુઓ મળીને કુલ 8 વિશાળ કઊઉ સ્ક્રીન ગોઠવવામાં આવી છે.
આટલા મોટા આયોજન અને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે 5000 જેટલા સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ રાત-દિવસ ખડેપગે સેવા આપી રહ્યા છે.
ફુલદોલ ઉત્સવ સાંજે 4 વાગ્યે સભામંડપમાં પ્રવેશ શરૂ થશે. સભા અને પ્રવચન સભા દરમિયાન સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો ડોક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી અને વિવેકસાગર સ્વામીના પ્રેરક પ્રવચનોનો લાભ મળશે. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સૌને પોતાના દિવ્ય આશીર્વચન આપશે. સભાના અંતમાં રંગોત્સવ શરૂ થશે, જેમાં મહંત સ્વામી મહારાજ હરિભક્તો પર પવિત્ર કેસૂડાના જળનું સિંચન કરી તેમને રંગશે.