Jai Hind

દ્વારકામાં કાલે ભગવાન શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ : આજે માતાજીનો વરઘોડો નીકળશે

અગિયારી, મંડપમુહુર્ત, છપ્પનભોગ મનોરથ, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે

જામ ખંભાળિયા, તા. 28: પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ સાથે ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રાજરાજેશ્વરી શ્રી રૂકિમણીજીના વિવાહ મહોત્સવ આવતીકાલ તા. 28 તથા 29 માર્ચ દરમ્યાન વિધિ-વિધાનપૂર્વક ભકિતમય વાતાવરણમાં ઊજવવામાં આવનાર છે. ધાર્મિક રીતરસમ સાથે તા. 29 મી એ રવિવારે રૂકિમણી મંદિરના પટાંગણમાં દ્વારકાધીશ રૂકિમણીજીનો લગ્નોત્સવ યોજાશે.
કાર્યક્રમની પ્રાપ્ત વિગતો અનુસાર સાંજીના ગીત યોજાયા બાદ ચૈત્ર સુદ દસમ તા.28 મી માર્ચને શનિવારના રોજ રૂકિમણી માતાજીના મંદિરે સવારે 9 થી 12 વાગ્યા સુધી અગીયારી, મંડપમુહુર્ત તથા છપ્પનભોગ મનોરથ દર્શન યોજાશે. ત્યારબાદ સાંજે 7 થી 9 સુધી શ્રી દ્વારકાધીશના જગતમંદિરેથી રૂકિમણી માતાજીનો વરઘોડો નીકળશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી ફરીને ભદ્રકાલી ચોક પાસે સમાપન થશે.
આ ઉપરાંત રવિવાર તા. 29 માર્ચના રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી દ્વારકાધીશ જગતમદિરે તથા રૂકિમણીજી મંદિરે ધ્વજારોહણ યોજાશે તેમજ સાંજે 7 થી 9 સુધી રૂકમિણી વિવાહ વિધિવિધાન અનુસાર રૂકિમણી મંદિરના પટાંગણમાં થશે તેમજ રાત્રે 8.30 કલાકથી 10 વાગ્યા સુધી મહાપ્રસાદ (જાનનું જમણવાર) ગુગ્ગુળી બ્રાહ્મપુરી નં.1 ખાતે રાખેલ છે. સમગ્ર રૂકિમણી વિવાહ ઉત્સવના મુખ્ય યજમાન અમદાવાદના ચિરાગભાઈ પટેલ તથા પ્રતિક હેમંતભાઈ ભાયાણી પરિવાર છે. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂકિમીણીજી સંગ દ્વારકાધીશ ના લગ્નની ઉજવણી દર વર્ષે પારંપરિક રીતે ધામધૂમપૂર્વક થાય છે. પૌરાણિક કથા મુજબ ચૈત્ર સુદ અગિયારસના શુભદિને ભગવાન શ્રીકૃષ્ણે શ્રી રૂકિમણીજી સાથે વિવાહ કર્યા હતાં. ત્યારથી આ શુભ દિને દ્વારકાના રૂકિમણી મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ તેમજ માતા રૂકિમણીના વિવાહ ઉત્સવ ઊજવવામાં આવે છે.
રૂકિમણી માતજીના વારાદાર પૂજારી અરૂણભાઈ દવેની યાદીમાં તા. 28 તથા 29 માર્ચ દરમ્યાન દ્વારકાના રાજા એવા ભગવાનશ્રી દ્વારકાધીશ નો ભવ્યાતિભવ્ય વિવાહ ઉત્સવ ઉજવવાનું જણાવી ગામલોકોને ભગવાન માતાજીના લગ્નોત્સવમાં સમ્મિલીત થવા તથા પ્રભુ પ્રસાદી લેવા રૂકમિણી મંદિરના પૂજારી દ્વારા અપીલ કરાઈ છે.