Jai Hind

સુત્રાપાડામાં સસ્તા અનાજના કાળાબજારનો ભાંડો ફૂટ્યો

મામલતદાર કચેરી સામે રીક્ષા પકડી, મોટો જથ્થો કબ્જે

સુત્રાપાડા તાલુકામાં સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૂરું પાડવામાં આવતા સસ્તા અનાજના કાળાબજારનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. લાંબા સમયથી ચાલતા આ ગેરકાયદેસર રેકેટ અંગે જાગૃત નાગરિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રની અસરકારક કાર્યવાહી ન થતા અનાજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
આજ રોજ વહેલી સવારે સુત્રાપાડા મામલતદાર કચેરી સામે મામલતદાર સ્ટાફે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ રીક્ષા (નંબર: ૠઉં 11 ઝ 6820) અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રીક્ષામાં ઘઉં અને ચોખાના મોટા પ્રમાણમાં બાચકા ભરેલા મળી આવ્યા હતા. રીક્ષા ચાલક તરીકે ખાન અરબાઝ ઇમરાનભાઇ હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ આ અનાજ સસ્તા અનાજની દુકાનોમાંથી મળતું સસ્તું જે લોકોને મળે છે.તેવા લોકોની ઘરે ઘરે જઈ ગેર રીતે ઓછી કિંમત થી એકત્રિત કરી મોટા વેપારીઓને વેચવા લઈ જવાતું હોવાનું અનુમાન છે. મામલતદાર સ્ટાફે રીક્ષા સહિત સમગ્ર અનાજનો જથ્થો કબ્જે કરી ગોરખમઢી મુકામે આવેલા ગોડાઉનમાં જમા કરાવ્યો છે.
આ મામલે મહત્વનો પ્રશ્ન એ છે કે, વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા સમયસર કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? શું આ રેકેટ પાછળ કોઈ મોટા માથાઓની સંડોવણી છે? અને ગરીબોના હકનો અનાજ કોણ લૂંટી રહ્યું છે? હાલ તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ ઘટનાએ તંત્રની કાર્યક્ષમતાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.