Jai Hind

કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ કરવાના કેસમાં આરોપીના જામીન મંજુર કરતી હાઈકોર્ટ

કોર્ટ મુદ્તમાંથી પરત ફરતા ત્રણેય લોકોની હત્યાની કોશિષ કરી’તી

ચોટીલા પંથકમાં સગાઈ માટે માગું નાખ્યાની અદાવતમાં થયેલા છેડતીના કેસમાં હાજરી આપી પરત ફરી રહેલા ફરિયાદી સહિત બે ઉપર ઇકો કાર ચડાવી દેવાના હત્યાની કોશિશના આરોપીની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા દૂર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, ગઇ તા. 27/ 02/ 2026ના રોજ આ કામના ફરીયાદી કલ્પેશ સુરેશભાઈ પનાળીયા (રહે. ચોટીલા)ને વિનુભાઈ ઉર્ફે વિનાભાઈ ગેલાભાઈ મેણીયા (રહે. ચોટીલા)ની દીકરી કિંજલ સાથે સગાઈ કરવી હતી, પરંતુ વિનુભાઈ મેણીયાએ સગાઈ કરવાની ના પાડી હતી. આથી વિનાભાઇની ભાણેજ સુહાનીબેન ધરજીયાએ કલ્પેશ પનાળીયા ઉપર નવેમ્બર-2025ની સાલમાં છેડતીની ફરીયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં કરેલ હતી. જે કેસની મુદતમાં ચોટીલા કોર્ટ ખાતે જઇને કલ્પેશભાઈ અને કેતન પનાળીયા એકટીવામાં પરત ફરતા હતાત્યારે સાંગાણી ગામ તરફ જતા હતા, તે વખતે વિનુભાઈ મેણીયાએ પોતાની ઈકો કાર એક્ટીવા પાછળ ભટકાડી ઉપર ચડાવી દેતા કલ્પેશભાઈ અને કેતનભાઇને મુંઢ ઈજાઓ થવાથી પ્રથમ ચોટીલા સરકારી હોસ્પીટલ ત્યારબાદ રાજકોટ હોસ્પીટલ ખાતે સારવાર લીધેલ હતી. આ બાબતે કલ્પેશ પનાળીયાએ ચોટીલા પોલીસમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી. સી.સી. ટીવીમાં રેકર્ડ સહિતની તપાસ બાદ આરોપીઓની અટક કરવામાં આવી હતી. ધોરણસરની કાર્યવાહી બાદ આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લા જેલ ખાતે મોકલી દેવામા આવેલ હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામા આવતા આરોપીએ એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી મારફત ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેમાં આરોપી પક્ષના વકીલોની દલીલો, તેમજ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈને હાઈકોર્ટ જસ્ટીસ નીખીલ કેરીયલ દ્વારા આરોપીને રૂૂા. 15 હજારના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ કામમાં આરોપી વતી ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, હિરેન નીયાલચંદાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ એમ. જાડેજા તેમજ લીગલ આસિ. જયદીપ ડી. ગઢીયા રોકાયા હતા.