જામ ખંભાળિયા, તા. 13
ખંભાળિયામાં જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા કલેકટર કચેરી ખાતે કિશાન ક્રેડિટ કાર્ડનો લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પી.એમ. કિશાન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 85,189 છે. જયારે કિશાન ક્રેડીટ કાર્ડની સંખ્યા 72,522 છે. આમ અંદાજે 12,667 ખેડુતો એવા છે જેની પાસે કિશાન ક્રેડીટ કાર્ડ નથી. પી.એમ. કિશાનના જે લાભાર્થીઓને લોન માટેની કેસીસી યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે.
કે.સી.સી.ની આ લોન નો લાભ ખાતા દીઠ મળશે. આ યોજનાનો લાભ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ મળવાપાત્ર છે. 3 લાખ સુધીની લોન માટે વ્યાજ દર 7 ટકા રહેશે. જો આ લોનની ભરપાઇ 365 દિવસની અંદર કરવામાં આવે તો 3 ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને 4 ટકા વ્યાજ રાજય સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવશે. 365 દિવસની અંદર લોન ભરપાઇ કરવામાં નહી આવે તો બેન્કના નિયમ મુજબ વ્યાજદર રહેશે. 3 લાખ સુધીની લોન માટે પ્રોસેસીંગ ચાર્જ, સર્વિસ ચાર્જ, ઇન્સ્પેકશન ચાર્જ વગેરે બેંક દ્વારા આ લોન માટે માફ કરવામાં આવેલ છે.
કે.સી.સી.નો લાભ 7/12ની કોપી અને પાકની વિગતથી બેંક દ્વારા સરળતાથી અને ત્વરિત આપવામાં આવશે. પીએમ કિશાનના જે લાભાર્થીઓ કે.સી.સી.નો લાભ લઇ રહયા છે, તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેંકની બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે.
પીએમ કિશાનના લાભાર્થીઓની સંખ્યા વધારે છે પરંતુ જાણકારીના અભાવે કેસીસી લોનના લાભાર્થીઓની સંખ્યા ઓછી છે જેથી બાકી રહેલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવે તે જરૂરી છે. પીએમ કિશાનના લાભાર્થીઓને આ યોજનાનું સરળ ફોર્મ ભરવા માટેની માહિતી નજીકના સી.એસ.સી. સેન્ટરમાંથી મળશે.
આ ઉપરાંત જો ખેડુત ખાતેદાર કિશાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળતા છઞઙઅઢ ઈઅછઉ નું 90 દિવસમાં સ્વાઇપ કરી ઉપયોગ કરે તો 2 લાખ સુધીનો અકસ્માત વિમો ચાલુ રહેશે તેમ વધુમાં જણાવાયું હતું.
(ફોટો: કુંજન રાડિયા)
