જામનગરમાં દંપતિ વચ્ચે ઝઘડામાં પતિએ પત્ની સામે હુમલાની ફરિયાદ નોંધાવી

પત્ની-પતિની હત્યા અંગે મોબાઈલમાં વાત કરતા પતિ સાંભળી ગયો તે બાબતે માથાકુટ થઈ

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેનો વિવાદ હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે. પોતાના દીકરાને મળવા માટે સાસરીએ ગયેલા પતિએ પત્નીને ફોનમાં પોતાની હત્યાની વાત કરતાં સાંભળી જતાં પુરાવા માટે મોબાઈલ માંગ્યો હતો. જેના બાદ પત્નીએ ઉશ્કેરાઈ જઈ ક્રિકેટના લાકડાના બેટ વડે હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
આ બનાવ અંગે બીપીનભાઈ મારખીભાઈ કરમુર, (ઉંમર વર્ષ 40, રહે. ગોકુલનગર સરદારનગર શેરી નં.ર) દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ તા. 08/04/2026ના રોજ તેઓ પોતાના દીકરાને મળવા માટે પત્ની ભાનુબેનના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમની પત્ની કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોનમાં ફરીયાદીને જાનથી મારી નાખવાની વાત કરતી હોવાનું તેમના ધ્યાન પર આવ્યું હતું.
પતિએ આ વાત સાંભળી જતા પુરાવા માટે પત્ની પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો, પરંતુ પત્નીએ ફોન આપવાનો ઇનકાર કર્યો હતો. ફરિયાદ મુજબ મોબાઈલમાં રહેલી વાત બહાર આવી જવાની ભીતિથી પત્ની એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઘરે રહેલા ક્રિકેટના લાકડાના બેટ વડે પતિ ઉપર તૂટી પડી હતી.
હુમલામાં પતિના ડાબા હાથ તેમજ શરીરના ભાગે પાંચથી છ ઘા મારવામાં આવ્યા હતા, જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હોવાનું જણાવાયું છે. ફરિયાદ મુજબ હુમલા દરમિયાન પત્નીએ ગાળો આપી ભવિષ્યમાં પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
આ સમગ્ર ઘટના ના પગલે પોલીસ માં ભાનુબેન કરમુર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ