ગીર સોમનાથ જિલ્લાના અરજદારોની વિવિધ રજૂઆતો કલેકટરે રૂબરૂ સાંભળી

ગીર સોમનાથ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

સરકારના પ્રજાભિમુખ અભિગમને કેન્દ્રમાં રાખી જિલ્લા કલેકટર જીતેન્દ્રસિંહ.એન.વાઘેલા ની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે ગીર સોમનાથ જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોના પડતર પ્રશ્નો અને રજૂઆતોનો ઝડપી તેમજ સંતોષકારક નિકાલ લાવવા માટે કલેક્ટર એ અરજદારોની રજૂઆત રૂબરૂ સાંભળી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોએ જમીન માપણીમાં વિલંબ, ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી પવનચક્કી નું કામ અટકાવવા બાબત, પેશકદમી બાબત, દબાણ દૂર કરી જાહેર રસ્તો ખુલ્લો કરવા બાબત, આયુષ્માન કાર્ડ તેમજ ડેટા મેપિંગના વિરોધાભાસ બાબત, રસ્તાનું અધૂરું કામ પૂરું કરવા બાબત, ઘઉં ખરીદી માં વિલંબ, ટેકાના ભાવે ઘઉં ખરીદી બાબત સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતાં. અરજદારોના પ્રશ્નોને લગતા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી કલેક્ટર એ કામગીરીના અનુસંધાને જરૂરી આદેશ આપ્યા હતાં. કલેક્ટર એ નાગરિકોના પ્રશ્નનું તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે એ રીતે એકબીજા વિભાગ સાથે સંકલન દ્વારા કામગીરી કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર એ સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી અરજીઓનો હકારાત્મક અને સમયબદ્ધ નિકાલ કરવા, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચે તે માટે ઉપસ્થિત સર્વે અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણા સહિત માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય, પુરવઠા, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ