લાઇન તૂટવા પાછળ કોની ભૂલ ? લોક મુખે ચર્ચા
જૂનાગઢ મનપા દ્વારા આશરે રૂ. 11 કરોડના ખર્ચે ફિલ્ટર કરેલ શુદ્ધ પાણી શહેરીજનોને પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવેલી પાણીની મુખ્ય પાઇપ લાઇન ધારાગઢ દરવાજા નજીક અચાનક બ્લાસ્ટ થઈ તૂટતા, રોડ તૂટી જવા પામ્યો હતો અને આખો રોડ પાણી પાણી થઈ જવા પામ્યો હતો, જો કે, આ અકસ્માત સમયે સદનસીબે ઘટનાસ્થળે લોકોની ભીડ ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મનપા ફરી સવાલે નિશાને પર આવ્યું છે અને કરોડોના પ્રોજેક્ટમાં થયેલી કામગીરી પાછળ એજન્સી બેદરકારી કે ઈજનેરી અણઆવડત જવાબદાર છે કે, કોઈ ભ્રષ્ટાચાર થયો છે તેવા લોકોના સવાલો ખડા થયા છે અને મનપા કમિશનર દ્વારા તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. જૂનાગઢના મજેવડી દરવાજાથી ગિરનાર તળેટી તરફ જતા રસ્તા પર ધારાગઢ દરવાજા પાસે મનપા દ્વારા ઉપરકોટથી ફિલ્ટર થઈ શહેરીજનો શુદ્ધ પાણી પહોંચાડતી પાણીની મુખ્ય પાઇપ લાઇન આજે ફાટી હતી, અને રોડનો એક મોટો ભાગ જમીનમાંથી ઊંચો થઈ જતા રોડ તૂટી ગયો હતો. તથા રોડ પર પાણી વહેવા લાગ્યું હતું જે પાણીનો પ્રવાહ આસપાસના વિસ્તારમાં પહોંચી ગયો હતો. સદનસીબે આ અકસ્માત સમયે ઘટનાસ્થળે લોકોની ભીડ ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ ના હતી, પણ ખાડા પડ્યા બાદ ત્યાં હાજર લોકોએ ના પાડવા છતાં તૂટેલા રોડ પરથી પસાર થવા ગયેલ એક બાઈક સવાર બાઈક સાથે ખાડામાં પડયો હતો, ત્યારે લોકોએ તેને બહાર કાઢી જીવ બચાવ્યો હતો. બીજી બાજુ, જૂનાગઢમાં રૂ. 11 કરોડના પ્રોજેક્ટમાં તૈયાર થયેલ પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ટૂંકા ગાળામાં બ્લાસ્ટ થતા, મનપા ફરી સવાલે નિશાને પર આવ્યું છે, અને આ નબળી કામગીરી પાછળ એજન્સી બેદરકારી છે કે ઈજનેરી અણઆવડત જવાબદાર છે, અથવા તો કોઈ ભ્રષ્ટાચાર થયો છે ? તેવા લોકોના સવાલો ખડા થયા છે. ત્યારે મનપાના વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે, આ પાઈપલાઈન કોઈ ટેકનિકલ અથવા અન્ય કારણોસર ફાટી છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અને સાચું કારણ સામે આવ્યા બાદ તેના કાયમી રિપેરિંગની કામગીરી આગળ ધપાવવામાં આવશે. આ સાથે ઘટના બાદ હાલમાં તે રોડ પરની વાહનોની અવરજવર નિયમિત અને સુરક્ષિત રીતે થઈ શકે તે માટે તંત્ર દ્વારા જરૂરી સુરક્ષાના પગલાં લેવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જો કે, મજેવડી દરવાજાથી ભવનાથ શ્રેત્રમાં જતા આ મુખ્ય માર્ગ પર કાયમી અનેક વાહનો અને યાત્રિકો તથા સ્થાનિક લોકો પસાર થતા હોય ત્યારે આ પાઇપલાઇન બ્લાસ્ટ કયા કારણોસર થયેલ છે તેની ચકાસણી કરી, ફરી આવી દુર્ઘટના ન ઘટે તેવું સત્વરે સમારકામ કરી, તૂટેલો રોડ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ અથવા પામી છે. આ સાથે રૂ. 11 કરોડના ખર્ચે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટમાં માત્ર ટૂંકા ગાળામાં બ્લાસ્ટ થતા કોન્ટ્રાક્ટર અથવા ઈજનેરની બેદરકારી છે કે કોઈ ભ્રષ્ટાચાર થયો છે તેવા સવાલો સાથે લોકો દ્વારા મનપાના કમિશનર દ્વારા આ ઘટના અંગે તપાસ હાથ ધરાય તેવી લાગણી અને માગણી પણ ઉઠવા પામી છે.
