જૂનાગઢમાં સરકારી ફરજમાં રૂકાવટ અને તલાટી-કમ-મંત્રી પર હુમલો કરનારને 6 માસની સાદી કેદ, બે નિર્દોષ

શાળા પ્રવેશોત્સવની કામગીરી દરમિયાન બિનખેતી પ્લોટના નમુના બાબતે તલાટી પર થયો હતો હુમલો

જૂનાગઢના ડુંગરપુર અને પાદરીયા ગામે તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતા ચનાભાઇ રાજાભાઇ વકાતર પર સરકારી ફરજ દરમિયાન હુમલો કરવા તથા ધમકી આપવાના ફોજદારી કેસમાં જૂનાગઢના બીજા અધિક ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ગૌરવકુમાર સોમાભાઇ દરજીની કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રવિણભાઇ શ્યારાને ભારતીય દંડ સંહિતા ની કલમ-189 અને 332 હેઠળ દોષિત ઠેરવીને 6 માસની સાદી કેદની સજા અને કુલ રૂા. 2,000 ના દંડનો આદેશ કર્યો છે. ઘટનાની વિગત મુજબ, ગત તા. 24/06/2022ના રોજ પાદરીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલુ હતો. તે દરમિયાન તલાટી-કમ-મંત્રી ચનાભાઇ પંચાયત કચેરીએ હાજર હતા, ત્યારે આરોપી જિતેન્દ્ર શ્યારા ત્યાં આવીને પોતાના પ્લોટના બિનખેતી થયેલા નોંધ નંબરની માંગણી કરી હતી. ત્યારે તલાટીએ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાંથી પરત આવ્યા બાદ કાગળો આપવાનું જણાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી તલાટીને ગાલ પર થપ્પડ મારી દીધી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ બાદ અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓનું ઝીણવટભર્યું પૃથ્થકરણ કર્યું હતું. પુરાવાઓને આધારે કોર્ટે મુખ્ય આરોપી જિતેન્દ્ર શ્યારાને કલમ-189 અને 332 હેઠળ કસૂરવાર ઠેરવીને 6 માસની સાદી કેદની સજા અને કુલ રૂા. 2,000 ના દંડ અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે. જ્યારે અન્ય જે સહ-આરોપીઓને આક્ષેપોમાં શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ