પોરબંદર તા.20
પોરબંદરની ગોઢાણીયા એન્જીનીયરીંગ કોલેજ ખાતે રાષ્ટ્રીયકક્ષાના સેમીનારનું આયોજન કરવામાં આવતા દેશભરના નિષ્ણાંતો જોડાયા હતા અને 100 જેટલા રીસર્ચ પેપર રજુ થયા હતા.
પોરબંદરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર. ગોઢાણીયા એન્જીનીયરીંગ કોલેજ ઓફ ટેકનોલોજી ખાતે યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સ મંગલદીપ પ્રગટાવીને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુના વાઇસ ચાન્લેસર કુલપતિ ડો. નવીનભાઇ શેઠે કોલેજની શિક્ષણ, શિસ્ત અને સંસ્કારની પરંપરાને બિરદાવતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની જન્મભૂમિ સુાદમાપુરી પોરબંદર અને સ્વામી વિવેકાનંદજીની કર્મભુમિમાં પગ મુકતા ગૌરવની લાગણી મહેસુસ કરી રહ્યો છું. એન્જીનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને બીબાઢાળ શિક્ષણ આપવા કરતા માર્કેટની જરૂરીયાત પ્રમાણે ટુંકાગાળાના નવા કોર્સ કરાવીએ તો નોકરીની વિપુલ તકો છે. આથી સાંપ્રત યુગમાં ઇન્ડસ્ટ્રીની જરૂરીયાત મુજબ વિદ્યાર્થીઓ તૈયાર કરવા પડશે. તેમણે ભારતના પૂર્વરાષ્ટ્રપતિ મહાન વૈજ્ઞાનિક ડો.એ.પી.જે. અબ્દુલ કલામ એ દર્શાવેલી શિક્ષણની નવી તરાહ અપનાવીએ તો દેશને એક નવી દિશા મળશે. જીટીયુમાં સ્ટાટઅપ ઇન્ડીયા થીમ પર ર09 છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દેશમાં થતાં સંશોધનની માત્રા ઓછી છે ત્યારે ચાઇનાના દેશો 60 ટકા સંશોધનો કરે છે. આપના સંશોધનો શિક્ષણ જગતને એક નવી દ્રષ્ટિ આપશે તેમ જણાવીને શુભેચ્છા પાઠવી હતી.
પોરબંદરની એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. સંજય અગલે નેશનલ કોન્ફરન્સની પૂર્વભુમિકા પુરી પાડી ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે લંડનની ગ્લોબલ ટ્રેનિંગ એજયુકેશન પ્રોગ્રામના ડાયરેકટર ડો. શીતલ નાગોરીએ દેશ-વિદેશની ઓકસફર્ડ કેલીફોર્નિયા સહિતની યુનિવર્સિટીમાં થતાં સંશોધન અને તેની ફલશ્રુતિ પર પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કરી ઉપસ્થિત નિષ્ણાંતોનો સંશોધન અભિગમ બદલાયો હોય તેવો ભાવ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે જાણીતા દાતા, શિક્ષણપ્રેમી અને ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયાએ પોરબંદર પંથકના એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા પોરબંદર થી દુર સુધી છાત્રોએ જવું ન પડે તે માટે આ સુવિધા ઉભી કરી છે. હાલમાં બે કોલેજોના કેમ્પસમાં 9000 જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે આગળ વધવા માટે અભયસુવૃતિ કેળવવાની શીખ આપી હતી.
વોટ આફટર સ્ટાન્ડર્ડ ટવેલ્થના લેખક ડો. મનીષભાઇ દોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ડીગ્રીધારી વ્યકિતઓ કરતા સ્કીલ ધરાવનાર વ્યકિતઓની ખુબ મોટી માંગ છે. તેમણે આજની શિક્ષણ પધ્ધતિમાં બદલાવ લાવવાની અભિલાષા સેવી હતી. પોરબંદરની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ પોતાના મોરબી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળી સ્વર્ગીય રાજીવ ગાંધીએ કમ્પ્યુટરની યુગનો પ્રારંભ કરાવ્યો આજે દેશઅગ્રેસર છે. શિક્ષણની સમસ્યાઓ ઉકેલવા માટે સંશોધનો અતિ આવશ્યક છે.
ડો.વી.આર.ગોઢાણીયા બી.એડ્. કોલેજના ડાયરેકટર અને જાણીતા કેળવણીકાર ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ ઇટાલી, રોમ અને ઓમાનના દેશોમાં અધ્યાપક-શિક્ષકને મળતો આદરના પ્રસંગો વર્ણવીને અધ્યનશીલ અધ્યાપકો જ છાત્રોને જ્ઞાન-સંશોધન ક્ષેત્રે સાચી દીશા આપી શકે. આ કોન્ફરન્સમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજયોના 100 જેટલા નિષ્ણાંતોએ પોતાના શોધપત્રો વાણીજય, આઇ.ટી., ટેકનીકલ, એન્વાયમૈન્ટ, સમાજ, સાંસ્કૃતિક, ગૃહવિજ્ઞાન, સાંપ્રત પ્રવાહોના સંદર્ભમાં અધ્યાપકો, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના મંતવ્યો સંશોધન સાથે રજુ કયાૃ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડો. પ્રિયાંક ગોકાણી અને પ્રોફેસર વીધીબેન ભુતિયાએ સંભાળ્યું હતું. જયારે આભારવિધી આઇ.ટી.ના સિનીયર પ્રોફેસર ધવલભાઇ ખેરે કરી હતી. કોન્ફરન્સમાં જુનાગઢ નોબલ ઇન્સ્ટીટયુટના ડાયરેટકર ડો. વિપુલ વેકરીયા, મોઢા દર્શન, કોલેજના ડાયરેકટર દર્શન શેઠ, ભુમિકાબેન તન્ના, કેતનભાઇ થાનકી, કો-ઓર્ડીનેટર કમલેશભાઇ થાનકી, ડો. કલ્પનાબેન જોશી, ડો.સુલભાબેન દેવપુરકર, રણમલભાઇ મોઢવાડીયા, ડો. કેતન શાહ, નીરવભાઇ દત્તાણી, ચેતનભાઇ જોશી સહિત ગોઢાણીયા સંકુલના વડાઓ શહેરની વિવિધ કોલેજોના આચાર્યો, પ્રોફેસરો સહિત ગુજરાત સહિત વિવિધ રાજયોના નિષ્ણાંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એન્જીનીયર/આઇ.ટી. ડીપાર્ટમેન્ટના શૈક્ષણિક – વહીવટી સ્ટાફે સારી જહેમત ઉઠાવી હતી.
