આરોપી ઈકબાલ મેમણ ઉર્ફે જાદૂગરને 25 હજારનો દંડ તેમજ ભોગ બનનારને 12 લાખ વળતર ચુકવવા આદેશ
ધોરાજી,તા.17
ધોરાજી ખાતે આજરોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા સગીરા પર બળજબરીપૂર્વક બદામ કરનાર આરોપી ઈકબાલ હબીબ કાલીયા મેમણ ઉર્ફે જાદુગરને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલ ની સજા ધોરાજી કોર્ટે ફટકારી હતી.
આ બનાવ અંગે ધોરાજી કોર્ટના સરકારી વકીલ કાર્તિકભાઈ પારેખે માહિતી આપતા જણાવ્યું હતું કે. ભોગ બનનાર સગીરાના પિતા મૂળ બિહારના વતની હતા, અને તેમને બે પત્ની તથા સાત બાળકો હતા. આર્થિક ભારણ સહન ન થતા તેમણે પોતાની એક પુત્રી મુસ્કાન ને આરોપી ઈકબાલ હબીબ મેમણ સાથે પરણાવી દીધેલ અને તેની સાથે આ કામનો ભોગ બનનારને પણ મોકલી આપેલ, ભોગ બનનાર ની ઉંમર આ વખતે માત્ર 14 વર્ષથી પણ નાની હતી. અને આરોપી ઈકબાલ હબીબ તેની સાથે તે ભોગ બનનાર બાળકી પોતાની આશ્રિત હોવા છતાં વારંવાર શરીર સંબંધ તેણીની સમજ કે મરજી વગર બાંધતો હતો. ભોગ બનનાર ના પાડે તો છરી બતાવી દુષ્કર્મ આચરતો હતો.આ આરોપી ના શરણે રહેવા સિવાય ભોગ બનનાર બાળકી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો. આવા સંજોગોમાં ભોગ બનનાર બાળકીને ગર્ભ રહી જતો ત્યારે પણ આ ઈકબાલ હબીબ તેની સાથે શરીર સંબંધ બાંધતો અને બે વખત તેણીને ગર્ભ પડી જાય તેવી દવાઓ ખવડાવી અને ગર્ભપાત પણ કરાવી નાખેલો હતો. આ સિલસિલો સતત અને અવિરત ચાલુ રહેતો હતો. છેવટે સામાજિક કાર્યકર્તા અને પાડોશી બહેનના ધ્યાનમાં આ હકીકત આવતા તેમણે ભોગ બનનાર બાળકીના પિતા ને બોલાવી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી અને આરોપી ઈકબાલ હબીબ કાલીયા સામે ફરિયાદ નોંધાય હતી. પોલીસે 4 જુલાઈ 2020 ના અરસામાં આ ઈકબાલ હબીબ કાલિયાની ધરપકડ કરેલી હતી ત્યારથી આજ દિવસ સુધી આ ઈકબાલ હબીબ કાલીયા ને જામીન ઉપર ન છૂટે તેના માટે સરકારી વકીલ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવેલી હતી.
સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ એ રજૂઆતો કરેલી હતી કે આરોપી એ આચરેલો અપરાધ તે જગન્ય અપરાધ છે. આરોપી સામે અગાઉ સુરેન્દ્રનગર કોર્ટમાં સેશન કેસ નંબર 76/ 2006 થી કેસ ચાલેલો હતો અને તેમાં હાલના આરોપી ને અદાલતે સજા ફરમાવેલી હતી. તે સજા આરોપીએ ભોગવેલી પણ હતી. આ તમામ હકીકત સરકારી વકીલ તરફથી સફળતાપૂર્વક રેકર્ડ પર લાવવામાં આવેલ. ભોગ બનનાર બાળકીની ઉંમર અને વલનરેબલ તરીકે ભોગ બનનાર બાળકીને નામદાર અદાલત અને કાયદાની પ્રક્રિયામાં એક વિશ્વાસ સંપાદન કરાવી અને સત્ય હકીકત જુબાની સ્વરૂપે રેકોર્ડ પર લાવેલ હતા. પોલીસ તરફથી પણ સામાજિક કાર્યકર્તા અને પાડોશીઓના પુરાવા અધિનિયમ કલમ 164 મુજબના નિવેદન નોંધાય તેવી તકેદારી લેવામાં આવેલી હતી. આ દુષ્કર્મના સંદર્ભે ભોગ બનનાર બાળકી એ એક બાળકનો જન્મ આપેલ હતો. આરોપી પક્ષે પોતાના નિર્દોષતા પુરવાર કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવા માટે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી કાર્તિકેય પારેખ તરફથી પ્રશ્નો પૂછવામાં આવેલા હતા, પરંતુ આરોપી ઈકબાલ હબીબ કાલીયા એ તેનો ઇનકાર કરેલો હતો. જેથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરફથી સમગ્રતામાં આરોપી વિરુદ્ધ અનુમાન કરવા માટે રજૂઆત કરેલી હતી. અને નામદાર અદાલતે આરોપીને 16 વર્ષથી ઓછી ઉંમરના હોય તે દરમિયાન, ગર્ભધારણ હોય તેવી સ્થિતિમાં પણ, જાનથી મારી નાખવાની ધમકી આપી અને વારંવાર દુષ્કર્મ કરવા બદલ ગુનેગાર ઠરાવવા માટે વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ કરેલા હતા.જે રજૂઆતો ને ગ્રાહ્ય રાખી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી રાહુલ કુમાર એમ શર્માએ આરોપી ઈકબાલ હબીબ કાલીયા મેમણ ઉર્ફે ઈકબાલ જાદુગર ગુનેગાર ઠેરાવી જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી હતી. તેમજ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર એમ શર્માએ આરોપી ઈકબાલ હબીબ કાલિયાએ આચરેલો ગુનો અસાધારણ ગણી અને તેને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાનું સજા ફરમાવેલ તથા રૂપિયા 25000 દંડ ફરમાવેલ હતો.
અને સરકાર પક્ષે ભોગ બનનારને પોતાનું જીવન પુન:સ્થાપન કરવા માટે રૂ.12,00,000 વળતર ચૂકવવા પણ આદેશ આપવામાં આવેલ છે.