રાજકોટમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આયોજિત ભવ્ય એર શોની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ આપતા આજે સૂર્યકિરણ ટીમનાં 6 વિમાનો દ્વારા અટલ સરોવર ખાતે મીની રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં દિલધડક કરતબોની પ્રેક્ટિસ કરી હતી. જેણે આસપાસના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો આ શો સવારે 10 વાગ્યે થશે. 7 ડિસેમ્બર, રવિવારના મુખ્ય શો માટેની આતુરતા વધારી દીધી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આયોજિત આ એર શો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલા એર શો જેવો જ ભવ્ય હશે તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વાયુસેનાની ચોકસાઈ અને શિસ્ત હશે. આજે થયેલા મીની રિહર્સલે સ્પષ્ટ કરી દીધું છે કે, મુખ્ય શો કેટલો અદ્ભુત હશે. 6 હોક વિમાનોએ એકસાથે ઉડાન ભરીને વિવિધ ફોર્મેશનની પ્રેક્ટિસ કરી, જેમાં તેમની ટીમ સ્પિરિટ અને પાયલટ્સની અસાધારણ કુશળતાનો પરિચય થયો હતો. આ પ્રારંભિક પ્રેક્ટિસનો હેતુ 7 ડિસેમ્બરના મુખ્ય કાર્યક્રમ માટે વાતાવરણ અને એરોબેટિક્સની ચોકસાઈ ચકાસવાનો હતો, જે સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. રિહર્સલે અટલ સરોવર અને આસપાસના વિસ્તારમાં એક તહેવાર જેવો માહોલ ઊભો કર્યો હતો. આ દિલધડક કરતબોમાં મુખ્યત્વે ડાયમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, રોમાંચક લૂપ્સ, જબરજસ્ત રોલ્સ, પડકારજનક હેડ-ઓન ક્રોસ, અને અસાધારણ ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ જેવા અનેક સ્ટંટ્સનો સમાવેશ થાય છે. આ સ્ટંટ્સ પાયલટ્સની ઉચ્ચ તાલીમ અને આત્મવિશ્ર્વાસ દર્શાવે છે. સૌથી મોટી પ્રભાવશાળી બાબત એ છે કે, આ પાયલટ્સ તેમની અસાધારણ ચોકસાઈનું પ્રદર્શન કરવા માટે માત્ર 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને તેમની શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત નિદર્શન કરશે. આટલા ઓછા અંતરે વિમાનોનું સંચાલન કરવું એ પાયલટ્સની સર્વોચ્ચ કાબેલિયત દર્શાવે છે.
તા.6ના રોજ ફાઈનલ રિહર્સલ
આ એર શો માત્ર એક અદ્ભુત હવાઈ પ્રદર્શન નથી, પરંતુ તે દેશના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ છે. આ મુખ્ય એર શોની સફળતા માટેની અંતિમ તૈયારીઓ તરીકે 6 ડિસેમ્બરના રોજ ફાઈનલ રિહર્સલ કરવામાં આવશે. આ ફાઈનલ રિહર્સલ પણ મોટા શો જેવું જ મહત્ત્વપૂર્ણ રહેશે, જે દર્શકો માટે મુખ્ય ઇવેન્ટ પહેલા એક સારો અનુભવ સાબિત થશે. લોકો આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી ઘટનાના સાક્ષી બનવા માટે 7 ડિસેમ્બરે અટલ સરોવર ખાતે સમયસર પહોંચે અને ભારતીય વાયુસેનાના આ અદભુત પ્રદર્શનને માણે તેવી અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે.
