રવિવારે રાજકોટનું આકાશ ઘરરાટીથી ગુંજી ઉઠશે એર શો પહેલાં અટલ સરોવર પર લડાકુ વિમાન ઉડયા

રાજકોટમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આયોજિત ભવ્ય એર શોની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ આપતા આજે સૂર્યકિરણ ટીમનાં 6 વિમાનો દ્વારા અટલ સરોવર ખાતે મીની રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં દિલધડક કરતબોની પ્રેક્ટિસ કરી હતી. જેણે આસપાસના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો આ શો સવારે 10 વાગ્યે થશે. 7 ડિસેમ્બર, રવિવારના મુખ્ય શો માટેની આતુરતા વધારી દીધી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આયોજિત આ એર શો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલા એર શો જેવો જ ભવ્ય હશે તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વાયુસેનાની ચોકસાઈ અને શિસ્ત હશે. આજે થયેલા મીની રિહર્સલે સ્પષ્ટ કરી દીધું છે કે, મુખ્ય શો કેટલો અદ્ભુત હશે. 6 હોક વિમાનોએ એકસાથે ઉડાન ભરીને વિવિધ ફોર્મેશનની પ્રેક્ટિસ કરી, જેમાં તેમની ટીમ સ્પિરિટ અને પાયલટ્સની અસાધારણ કુશળતાનો પરિચય થયો હતો. આ પ્રારંભિક પ્રેક્ટિસનો હેતુ 7 ડિસેમ્બરના મુખ્ય કાર્યક્રમ માટે વાતાવરણ અને એરોબેટિક્સની ચોકસાઈ ચકાસવાનો હતો, જે સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. રિહર્સલે અટલ સરોવર અને આસપાસના વિસ્તારમાં એક તહેવાર જેવો માહોલ ઊભો કર્યો હતો. આ દિલધડક કરતબોમાં મુખ્યત્વે ડાયમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, રોમાંચક લૂપ્સ, જબરજસ્ત રોલ્સ, પડકારજનક હેડ-ઓન ક્રોસ, અને અસાધારણ ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ જેવા અનેક સ્ટંટ્સનો સમાવેશ થાય છે. આ સ્ટંટ્સ પાયલટ્સની ઉચ્ચ તાલીમ અને આત્મવિશ્ર્વાસ દર્શાવે છે. સૌથી મોટી પ્રભાવશાળી બાબત એ છે કે, આ પાયલટ્સ તેમની અસાધારણ ચોકસાઈનું પ્રદર્શન કરવા માટે માત્ર 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને તેમની શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત નિદર્શન કરશે. આટલા ઓછા અંતરે વિમાનોનું સંચાલન કરવું એ પાયલટ્સની સર્વોચ્ચ કાબેલિયત દર્શાવે છે.
તા.6ના રોજ ફાઈનલ રિહર્સલ
આ એર શો માત્ર એક અદ્ભુત હવાઈ પ્રદર્શન નથી, પરંતુ તે દેશના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ છે. આ મુખ્ય એર શોની સફળતા માટેની અંતિમ તૈયારીઓ તરીકે 6 ડિસેમ્બરના રોજ ફાઈનલ રિહર્સલ કરવામાં આવશે. આ ફાઈનલ રિહર્સલ પણ મોટા શો જેવું જ મહત્ત્વપૂર્ણ રહેશે, જે દર્શકો માટે મુખ્ય ઇવેન્ટ પહેલા એક સારો અનુભવ સાબિત થશે. લોકો આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી ઘટનાના સાક્ષી બનવા માટે 7 ડિસેમ્બરે અટલ સરોવર ખાતે સમયસર પહોંચે અને ભારતીય વાયુસેનાના આ અદભુત પ્રદર્શનને માણે તેવી અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ