બાલ્કનીમાં ટુવાલ બાંધી અન્ય રૂમમાં જતી વખતે ગાંઠ છૂટી જતા ઘટી ઘટના
કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે સુકુન વિલામાં ત્રીજા માળની બાલ્કનીમાંથી પડી જતા માથે ઈજા થતાં 15 વર્ષના સગીરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે તેમને ભૂખ લાગી હતી પરંતુ જે રૂમમાં જમવાનું હતું તે બંધ હોવાના કારણે બાલ્કનીમાં ટુવાલ બાંધીને ત્યાં રૂમમાં જવાનો પ્રયત્ન કરતા ટુવાલની ગાંઠ છૂટી ગઈ હતી અને સગીર નીચે પટકાયો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.વધુ વિગતો મુજબ રાજસ્થાનનો નરેશ પારગી (ઉ.15) ગઈકાલે સાંજે ચાર વાગ્યાં આસપાસ કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે આવેલા ભૂત બંગલાની પાછળ સુકુન વિલામાં ત્રીજા માળેથી પડી જતા માથે ઇજા થઈ હતી અને તેમને મિત્રો દ્વારા અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવારમાં મોત નીપજ્યું હતું. આ મામલે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી હતી.તેની સાથેના અન્ય શ્રમિક લોકોએ જણાવ્યું હતું કે, નરેશ મૂળ રાજસ્થાનનો વતની છે.પાંચ દિવસ પહેલા જ રાજસ્થાનથી અન્ય શ્રમિકો સાથે આવ્યો હતો અને અહીં લગ્નની સિઝન ચાલતી હોય જેથી તે કેટરર્સ કામમાં મજૂરી કરી શકે એટલે મોકલવામાં આવ્યો હતો. જોકે તેમની ઉંમર નાની હોવાથી તેને કામે લઈ જવામાં આવ્યો નહોતો.તેની સાથે એક બીજો સગીર પણ હતો.જે ત્યાં સુકુન વિલામાં આવેલા ફ્લેટના રૂમમાં જ નરેશ સાથે રહેતો હતો અને બાકીના બધા કામ પર ગયા હતા.
આ બંને માટે બાજુના રૂમમાં જમવાનું રાખ્યું હતું. પરંતુ તે રૂમ લોક કરેલો હતો. બંને રૂમ બાજુ બાજુમાં આવેલા હતા.જેથી બંને સગીરોએ બાલ્કનીમાં ટુવાલ બાંધ્યો અને બાલ્કનીમાંથી એક રૂમમાંથી બીજા રૂમમાં જમવા જતા હતા.બપોરે બંને આ રીતે જઈ જમ્યા હતા પછી ચારેક વાગ્યે ભૂખ લાગતા તેઓ ફરી એવી રીતે જ ત્યાં પહોંચ્યા હતા.
જમીને પરત બાલ્કનીમાંથી રૂમમાં આવતા હતા ત્યારે નરેશના હાથમાં રહેલા ટુવાલની ગાંઠ છૂટી જતા અકસ્માતનો બનાવ બન્યો હતો.બીજા સગીરે તુરંત વીલાના ચોકીદારને જાણ કરી હતી અને પછી નરેશને સિવિલ હોસ્પિટલ લવાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. નરેશના માતા પિતા રાજસ્થાન ખાતે હોય, તેમને જાણ કરાતા તેઓ રાજકોટ આવવા રવાના થઈ ગયા હતા.આ અંગે મેટોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.
