રાજકોટમાં સાંભાર-ચટણીના નમુના ફેઇલ થતા બે સંચાલકોને સજા-દંડ

જય દ્વારકાધીશ હોટલ અને જીજે03 હોટલ સંચાલકને 6 માસની કેદ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થાય તે બાબતે હાલ તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે અગાઉ મનપાના ફૂડ વિભાગ દ્વારા 2019 માં જી. જે 3 ઢોસા કોર્નર કે જે અંબિકા ટાઉનશીપ પાસે આવેલું છે ત્યાંથી સંભાર નો નમુનો લેવામાં આવ્યો હતો જે વડોદરા ખાતે લેબોરેટરી અર્થે તપાસમાં મોકલવામાં આવ્યો જેમાં પ્રતિબંધિત પિન્ક કલર નોન પરમીટેડ – ઓઇલ સોલ્યુબલ કલર ની હાજરી મળી આવતા અનસેફ જાહેર કરવામાં આવ્યું છે અને સંચાલક વિરુદ્ધ ફોજદારી કેસ પણ દાખલ કરવામાં આવ્યો જેમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે રવિભાઈ મેઘાણીને તકસીરવાદ ઠહેરાવ્યા હતા અને છ માસની કેદની સજા સાથે 50000 નો દંડ પણ ફટકાર્યો હતો.
બીજી તરફ 23 નવેમ્બર 2021ના રોજ “જય દ્વારકાધીશ હોટલ” ઋજક લેબોરેટરી સામે, કિડની હોસ્પિટલ પાસે, યુનિવર્સિટી રોડ રાજકોટ મુકામેથી “લસણ મરચાંની ચટણી (લુઝ)” નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો જેમાં નોન પરમીટેડ-પિન્ક ઓરેન્જ કલર ઓઇલ સોલ્યુબલ ડાઈની હાજરી મળી આવી હતી જે બાદ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર સી.ડી. વાઘેલા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કમલેશકુમાર આર. ગાગનાણીએ કનુભાઈ નાગજીભાઇ બાંભવાને તકસીરવાન ઠેરવી 6 માસની કેદની સજા તથા રૂૂ.2,00,000ના દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો. ગઈકાલે પુડ વિભાગની ટીમ દ્વારા અમીન માર્ગ તથા રેસકોર્સ વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 31 ધંધાર્થીઓ પર તપાસ હાથ ધરવામાં આવી જેમાં 27 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
હાલ સૌથી મોટો સળગતો વિષય એ જ છે કે હાલ જે નમુના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવતા હોય તેને વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને એક થી બે વર્ષ જેટલો માતબર સમય વીતી જાય છે છતાં પણ રિપોર્ટ આવતા નથી અને રિપોર્ટ આવ્યા બાદ સંચાલકો પર કાયદાકીય પગલાં લેવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા રાજકોટમાં ફૂડ લેબોરેટરી શરૂૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી હતી પરંતુ ક્યાં કોઈ કારણોસર આ કાર્ય આગળ વધતું નથી તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર જો યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ધડાધડ રિપોર્ટો આવી શકે અને કાયદાકીય પગલા લઈ શકાય. પરંતુ તંત્રની ઢીલીતીના કારણે હાલ આ કાર્ય શક્ય બનતું નથી અને લાંબા સમય સુધી વાટ જોવી પડે છે.

રિલેટેડ ન્યૂઝ