રાજકોટમાં સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂનો ગળાફાંસો ખાઇ આપઘાત

છ માસ પૂર્વે પરણીતાના થયા હતા લગ્ન

શહેરના કુવાડવા રોડ પર આવેલી મેંગો માર્કેટ પાસેની ખોડલધામ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા 25 વર્ષીય નિકિતાબેન અજયભાઈ પ્રજાપતિ નામની પરણીતાએ ગત રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાને પગલે પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પ્રાથમિક વિગતો મુજબ, નિકિતાબેન અને તેમના સાસુ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો, જેનાથી વ્યથિત થઈને તેમણે આ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક નિકિતાબેનના લગ્નજીવન અંગે મળતી વિગતો અનુસાર, તેમના લગ્નને હજુ માત્ર છ મહિનાનો જ સમય થયો હતો. તેમના પતિ અજયભાઈ મૂળ આણંદના વતની છે અને રાજકોટમાં સ્થાયી થઈ ઈમીટેશનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. લગ્નના ટૂંકા ગાળામાં જ પરણીતાએ આપઘાત કરી લેતા અનેક સવાલો ઉભા થયા છે. બનાવની જાણ થતા જ નિકિતાબેનના માવતર પક્ષના લોકો આણંદથી રાજકોટ દોડી આવ્યા હતા અને જરૂૂરી કાયદાકીય પ્રક્રિયા બાદ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન આણંદ લઈ ગયા હતા. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ