સાળા-બનેવી ઉપર છરી વડે હુમલો કર્યાના ખુનની કોશિષના કેસમાં પણ 10 વર્ષની જેલ
રાજકોટમાં આવેલા ગંજીવાડામાં ચાર વર્ષ પૂર્વે રીક્ષા પાર્ક કરવા મુદ્દે સાળા બનેવી ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બનેવીનું મોત નિપજ્યું હતું. જે હત્યા અને હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને અદાલતે હત્યા કેસમાં આજીવન કેદની સજા અને હત્યાની કોશિષના ગુનામાં 10 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતા અજય ધીરૂભાઈ રાઠોડ અને તેના બનેવી અશોકભાઈ લીંબાભાઈ એંધાણી તા.30-8-2021નાં રોજ રાત્રીના સમયે પોતાના ઘરે હતાં ત્યારે રીક્ષા પાર્ક કરવા મુદ્દે પાડોશમાં રહેતાં અલ્પેશ સોંગી ડાભી અને મહેશ નામના શખ્સે ઝઘડો કરી અજય રાઠોડ અને તેના બનેવી અશોકભાઈ એંધાણી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઈ એંધાણીનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જે અંગે પોલીસે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ચાર્જશીટ બાદ કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી અલ્પેશ સોમજી ડાભીને હત્યા કેસમાં આજીવન અને હત્યાની કોશિષના ગુનામાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં આરોપી વતી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા અને મુળ ફરિયાદી વતી ડી.બી.બગડા રોકાયા હતાં.
