એક મહિનાથી કામ પુરુ થઇ જવા છતા લોકાર્પણના વાંકે લાઇટીંગ પોલ ધુળ ખાય છે: લાઇટ ચાલુ કરવા 7 દિવસની મહેતલ આપતા લતાવાસીઓ, લોકાર્પણ નહીં થાય તો લોકો પાડી દેશે લાઇટનો ‘ઘોડો’!
રાજકોટમાં ચૂંટણી અને એ પછી મનપામાં મેયર સહિતના શાસકોની પસંદગી મોડી થતા શહેરના અનેક એવા કામ છે કે જે પુર્ણ થઇ જવા છતા લોકો સુવિધા માટે વલખા મારી રહ્યા છે. નવા પદાધિકારીઓના ફોટોસેશનની લ્હાયમાં માત્ર સાંઢિયા પુલ જ નહીં પણ વાવડી ગેટથી નવા દોઢસો ફૂટ રિંગરોડ પર ડિવાઇડર પરની સેન્ટ્રલ લાઇટીંગનુ લોકાર્પણ પણ ટલ્લે ચડી રહ્યુ છે. કામ પુર્ણ થવા છતા લાઇટ ચાલુ કરવામા આવતી નથી. અંતે આસપાસના રહેવાસીઓની ધીરજ ખૂટતા મનપાને એવી ચીમકી આપી છે કે, અઠવાડિયામાં જો આ સેન્ટ્રલ લાઇટ ચાલુ નહીં થાય તો જનતા લોકાર્પણ કરી નાખવામા આવશે. વિસ્તારના આગેવાનો જાતે જ લાઇટનો ઘોડો પાડી દેશે!
રાજકીય નેતાઓની સસ્તી પ્રસિધ્ધિના અભરખાના કારણે જનતા કેવી હેરાન થઇ રહી છે તેના આમતો અનેક દાખલાઓ છે પણ મોજુદા સાંઢિયાપુલ ઉપરાંત શહેરના વિકસિત એવા વાવડીથી દોઢસો ફૂટ રિંગરોડ પર ડિવાઇડરમાં નખાયેલી સેન્ટ્રલ લાઇટની સુવિધાનો પણ દાખલો છે. પોલ ઉભા કરી તેમા લાઇટ ફીટ કરી કેબલ નેટવર્ક સહિતનું કામ એક મહિના પહેલા પુરુ થઇ ગયુ હોવાનું સોસાયટીના રહેવાસીઓનું કહેવુ છે. લાઇટ ચાલુ કરવા રજૂઆત કરવા જાય ત્યારે એવો જવાબ મળે છે કે, સતાવાર લોકાર્પણ થાય પછી ચાલુ કરાશે.
લોકાર્પણના વાંકે છતે સુવિધાએ હેરાન ગતી પ્રજાએ જનતા લોકાર્પણ કરી નાખવાની ચીમકી આપી છે. સાત દિવસની અંદર જો લાઇટ ચાલુ નહીં થાય તો આજુબાજુની સોસાયટીના આગેવાનો એકઠાં થઇને લાઇટનો મેઇન ઘોડો પાડી દેશે!
