4 માસ પૂર્વે લગ્નગ્રંથીથી જોડાયેલી પરિણીતા બે મહિનામાં રિસામણે ચાલી ગયાની સ્યુસાઈડ નોટ મળી
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતાં અને ઝનાના હોસ્પિટલમાં નર્સિંગ તરીકે નોકરી કરતાં યુવાને પત્ની-સાસરીયાના ત્રાસથી કંટાળી સ્યુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. ભગવતીપરામાં આવેલા શિવપાર્ક શેરી નં.2માં રહેતાં ચિરાગ બોદુભાઈ મારડીયા (ઉ.26) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર ચિરાગ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ છે તે ઝનાના હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર નર્સિંગ તરીકે નોકરી કરે છે. તેનાં લગ્ન ચાર મહિના પહેલા નિલોફર સાથે થયા હતાં. લગ્ન બાદ નિલોફરને અન્ય સાથે આડા સંબંધ હોય બે મહિનાથી તેણી રિસામણે ચાલી ગઈ હતી અને છુટાછેડાના 30 લાખની માંગણી કરતાં હોય સાસુ ઈરફાનાબેન અને સસરા અસરફભાઈ પણ માનસિક ત્રાસ આપી ધમકીઓ આપતાં હોય જેનાથી કંટાળી તેણે સ્યુસાઈડ નોટ લખી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી- ીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
