રાજકોટમાં વ્યાજખોરે ગીરવેે મૂકેલો સોનાનો ચેન વેંચી નાખતા યુવકનો આપઘાતનો પ્રયાસ

અઢી લાખની ચુકવણી કરવા છતા ચેન પરત નહી આપી ધમકી આપતા પગલુ ભર્યુ

કુવાડવા ગામે રહેતા યુવાને આઠ મહિના પહેલા અઢી લાખ વ્યાજે લીધા હતા અને સોનાનો ચેઇન વ્યાજખોર પાસે ગીરવે મુકયો હતો. બાદમાં વ્યાજખોરને તેના નાણા પરત કરી દેતા અને ચેઇન પરત માંગતા વ્યાજખોેરે આ સોનાનો ચેઇન વેચી નાખ્યાનો અને પરત ન આપવાની ધમકી આપતા યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવા ગામે વાંકાનેર ચોકડી પાસે રહેતા અરવિંદ રામજીભાઇ બાહુકીયા (ઉ.વ.37)નામના યુવાને આજે બપોરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવર રોડ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ યુવાનનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અરવિંદ ત્રણ ભાઇ બે બહેનમાં વચેટ અને સોપારી કટીંગનું કામ કરે છે. તેને આઠ મહિના પહેલા સાતડા ગામના રાણા વિભાભાઇ બાંધવા પાસેથી રૂા.2.50 લાખ લીધા હતા. 52 ગ્રામનો સોનાનો ચેઇન ગીરવે મુકયો હતો. ત્યારે તેણે વ્યાજનુ પૂછતા પછી સમજી લેશુ તેમ જણાવ્યુ હતુ. બાદમાં આજે તે અઢી લાખ પરત આપવા ગયો હતો અને તેનો સોનાનો ચેઇન પરત માંગતા વ્યાજખોરે તે ચેઇન મે વેંચી નાખ્યો છે. તેમ કહી ફરિયાદ કરીશ તો માર મારવાની ધમકી આપી હતી. જેથી યુવાને ડરી જઇ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ