દુકાન અંદર સિગારેટ પીવાની ના પાડતા આતંક મચાવ્યો’તો
શહેરના ગોંડલ રોડ પર આવેલા લોધાવડ ચોક પાસે નાસ્તાની દુકાન અંદર સિગારેટ પીવાની ના પાડતા અજાણયા ચાર શખ્સોએ દુકાનદાર અને તેના કર્મચારી ઉપર પથ્થર અને સ્ટીલના ગ્લાસ વડે હુમલો કરી માર મારતા બંન્ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે હુમલાખોર ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર રામનગર શેરી નંબર- 1 માં રહેતા કરણ હરીશભાઈ ઉનડકટ (ઉ.વ.30) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગોંડલ રોડ પર બેંક ઓફ ઇન્ડિયાની સામે લોધાવડ ચોકમાં તેના મિત્ર ગૌરવ પ્રકાશભાઈ રૂૂપારેલીયાની હરિયોગી લાઈવ પફ નામની નાસ્તાની દુકાનમાં કામ કરે છે. સોમવારે રાત્રીના એક્સેસ લઈને ચાર અજાણ્યા શખસો નાસ્તો કરવા માટે આવ્યા હતા. આરોપીએ દુકાનના કાઉન્ટર પાસે આવી સિગારેટ પીવા માટે માચીસ માંગતા અંદર સિગારેટ પીવાની ના પાડતા બંને બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેથી યુવાનનો મિત્ર ગૌરવ સમજાવવા માટે આવતા આ શખ્સો સાથેના બીજા બે અજાણ્યા શખ્સો પણ કાઉન્ટર પાસે આવી ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાન યુવાનને થપ્પડ મારી દીધી હતી અને ઝપાઝપી થતા આ શખસો યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો. ડયુવકનો મિત્ર ગૌરવ છોડાવવા માટે આવતા તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન એક શખ્સે દુકાનની બહારથી પથ્થર લાવી યુવાનને માથાના ભાગે મારી દેતા તેને લોહી નીકળવા લાગ્યું હતું તથા દુકાન બહાર પીવાના પાણીના જગ પર રાખેલ સ્ટીલનો ગ્લાસ લઈ આ ગ્લાસ વડે યુવાન તથા તેના મિત્ર ગૌરવને માથામાં માર્યો હતો. જેથી ગૌરવને પણ લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં આ શખસો નાસી ગયા હતાં. આ હુમલામાં ઘવાયેલા બંન્ને શખ્સોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે એ ડિવિઝન પોલીસે ચાર અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
