ઓનપેપર હકિકત : પાછલા કેટલાક દિવસોમાં અનેક વોર્ડમાં લેવાયેલા પાણીના સેમ્પલ થયા છે ફેલ
રાજકોટના અનેક વિસ્તારોના રહેવાસીઓ આમતો ઉનાળાના આખરી દિવસોથી જ નગરજનો જે ભયંકર દૂષિત અને વાસ મારતા પાણીની ફરિયાદો કરી રહ્યા હતા, તે ચોમાસાના આરંભ સાથે જ અત્યંત ગંભીર અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ત્યારે મેયર ડો. નેહલ શુકલે પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું હતુ કે “હા, શહેરના લાખો લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે!”
મેયર ડો.નેહલ શુક્લે અન્ય એક વિષય પર પત્રકાર પરિષદ બોલાવી હતી. એ દરમિયાન પત્રકારોએ શહેરમાં વધતા દુષિત પાણીના દેકારાને લઇને સવાલોનો મારો ચલાવ્યો હતો.પાછલા કેટલાક દિવસો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી મનપાના જ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પીવાના પાણીના સેમ્પલો મોટા પ્રમાણમાં ફેલ આવ્યા છે. આ આંકડા પુરવાર કરે છે કે રાજકોટવાસીઓના ઘરોમાં નળ વાટે પાણી નહીં પરંતુ ધીમું ઝેર સપ્લાય થઈ રહ્યું છે. જનતા પોતાના લોહી-પરસેવાની કમાણીમાંથી કરવેરા ભરે છે, પરંતુ બદલામાં મનપા તંત્ર તેમને માત્ર ગંદુ, દુર્ગંધયુક્ત અને જીવાણુઓથી ભરેલું પાણી પિરસાઈ રહ્યું છે. હોસ્પિટલોમાં ઝાડા-ઊલટી, કમળો અને ટાઈફોઈડના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેમ છતાં મનપાના અધિકારીઓ અને રાજકારણીઓ માત્ર એસી ઓફિસોમાં બેસીને તમાશો જોઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જનતાના જીવ સાથે આટલા મોટા પાયે થઈ રહેલા ખિલવાડ છતાં કોઈ જવાબદાર સામે નક્કર પગલાં લેવાયા નથી.
શહેરને શુધ્ધ પાણી આપી ન શકવાની નિષ્ફળતા છુપાવવા માટે મેયરે જૂની પાઈપલાઈનને દોષિત ઠેરવી છે. તેમના દાવા મુજબ સમગ્ર શહેરમાં જૂની પાઈપલાઈન કાઢીને નવી ડી.આઈ. (ઉીભશિંહય ઈંજ્ઞિક્ષ) લાઈન નાખવાનું કામ ચાલુ છે અને આ કામ લાંબાગાળાનું છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું આ લાંબાગાળાના કામના નામે ત્યાં સુધી રાજકોટની જનતાને ગંદુ પાણી પીવા માટે મજબૂર કરવામાં આવશે? વર્ષોથી કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે, તો પછી ડીઆ પાઈપલાઈનો કેમ ન બદલાઈ?
જો કે મેયરે શહેરીજનોને આશ્વાસન આપ્યુ છે કે, જે વિસ્તારમાં દુષિત કે ડ્હોળુ પાણી આવતુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે એ તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે, પાણીના રેન્ડમ સેમ્પલ લેવા, લાઇન ચેક કરવી એ સહિતની કામગીરી યુધ્ધના ધોરણે કરવામા આવશે. વધુમાં મેયરે કહ્યુ હતુ કે, ચોમાસામાં જળાશયોમાં નવા નીર આવતા હોય તેના કારણે પણ ડહોળુ પાણી આવતુ હોવાની ફરિયાદ ઉઠી શકે. ક્લોરીનેશન સહિત પાણીના શુધ્ધિકરણ માટે ચિવટ રાખવા વોટર વકર્સ શાખાના તમામ અધિકારીઓને કડક સુચના આપવામા આવશે.
