રાજકોટમાં આઇસર લઇને જતા નિવૃત એસ.ટી. ડ્રાયવરનું હાર્ટએટેકથી મૃત્યુ

લીમડા ચોક પાસે બનેલો બનાવ પરિવારમાં શોક

રાજકોટ શહેરમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. આજીડેમ ચોકડી નજીક મહિકાના પાટીયા પાસે રહેતા અને મહેનતુ સ્વભાવના મહેશકુમાર દયાશંકર તેરૈયા (ઉ.58)નું રાત્રીના સમયે લીમડા ચોક પાસે હાર્ટ એટેક આવવાથી અચાનક અવસાન થયું છે. આ આકસ્મિક દુર્ઘટનાથી તેમના પરિવારમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહેશકુમાર તેરૈયા લાંબો સમય એસ.ટી. નિગમના સાવરકુંડલા ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવ્યા બાદ ગયા મહિને જ વયમર્યાદાના કારણે નિવૃત થયા હતા. નિવૃત્તિ બાદ પણ પરિવારની જવાબદારી નિભાવવા માટે તેઓ હાલ પવન કુરિયરમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. ગત રાત્રે તેઓ પાર્સલ ભરેલી આઇસર ગાડી લઈને લીમડા ચોક પહોંચ્યા હતા, તે જ અરસામાં તેમને અચાનક હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. આ ઘટના બની ત્યારે તેમની સાથે તેમનો પુત્ર પણ સાથે જ હતો. પિતાને એકાએક બેભાન થઈ ગયેલા જોઈને પુત્ર ગભરાઈ ગયો હતો પરંતુ હિંમત રાખીને તુરંત જ તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. જોકે, કમનસીબે હોસ્પિટલ પહોંચતાની સાથે જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક મહેશકુમારના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે.

રિલેટેડ ન્યૂઝ