નવી દિલ્હી: તા.29
ભારત સાથે મિત્રતાપૂર્ણ સંબંધો રાખવાવાળું સાઉદી અરબ સાથે આગામી દિવસોમાં સંબંધોમાં તણાવ જોવા મળી શકે છે. તેનું કારણ છે કે આખરે પાકિસ્તાનનો મનસુબો પૂરો થયો અને સાઉદ અરબ કાશ્મીર મુદ્દે ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશનની સમિટ બોલાવવા તૈયાર થઈ ગયું છે. આ બેઠકમાં ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલા દેશોના વિદેશ મંત્રીઓ મળશે. મહત્વનું છે કે ગત સપ્તાહમાં મલેશિયા દ્વારા આયોજિત ઇસ્લામિક સમિટથી પાકિસ્તાને પોતાનો છેડો ફાડી લીધા બાદ સાઉદી અરબે આ નિર્ણય કર્યો છે. સાઉદી અરબ અને ઞઅઊએ પણ આ સમિટથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.
આ સપ્તાહમાં સાઉદી અરબના વિદેશપ્રધાન ફૈસલ બિન ફરહાદ અલ સઊદે પોતાના ઇસ્લામાબાદ પ્રવાસ દરમિયાન પાકિસ્તાનને આ સમિટ અંગે જાણકારી આપી છે. મલેશિયા દ્વારા આયોજિત સમિટથી અંતર જાળવી લીધા બાદ સાઉદી અરબે પાકિસ્તાનના કાશ્મીર આલાપને સાંભળવા માટે તૈયારી બતાવતા આ સમિટ અંગે જણાવ્યું હતું. જોકે હજુ સુધી સાઉદી અરબ દ્વારા આ અંગે કોઈ તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.જ્યારે બીજી તરફ પાછલા કેટલાક વર્ષોથી સાઉદી અરબ અને ભારત વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધ જોવા મળ્યા છે. પાકિસ્તાને પણ આ અંગે અનેકવાર નિરાશા દર્શાવતા કહ્યું હતું કે આર્ટિકલ 370 દૂર કરવા પર સાઉદી સહિતના ઈસ્લામિક દેશોએ ભારત વિરોધના પાકિસ્તાનના પ્રોપેગન્ડાને સમર્થન નથી આપ્યું. ભારતની વિદેશ નીતિમાં પાછલા થોડા વર્ષોથી ઘણો બદલાવ થયો છે. ઈસ્લામિક દેશો તેમાં પણ સાઉદી અરબ અને ઞઅઊ જેવા મોટા ઈસ્લામિક દેશો સાથેના આપણા સંબંધો ખૂબ જ સારા રહ્યા છે. જેના કારણે આ દેશોએ કલમ 370ને દૂર કરવા મુદ્દે પાકિસ્તાનના એક પણ ધમપછાડાને મહત્વ આપ્યું નહોતું.
