Jai Hind

ઇઝરાયેલના હુમલામાં ઇરાની નેતા અલી લારીજાની માર્યો ગયો

તહેરાન: ઈરાન પરના હુમલાના પ્રથમ દિવસે જ આયાતુલ્લાહ ખામેનેઈને ખત્મ કર્યા બાદ હવે ઈઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાની રાષ્ટ્રીય સલામતી કાઉન્સીલના સેક્રેટરી અલી લારીજાની તથા ઈરાની લશ્કરના કમાન્ડર સહિત અનેક ને ખત્મ કર્યો છે. ઈઝરાયેલના સૈન્ય વડા લેફ. જનરલ ઈયાલ જમીદે જણાવ્યુ હતું કે ગઈરાત્રીના હુમલામાં અલી લારીજાની ઉપરાંત ઈરાની સૈન્યના કમાન્ડર સહિત અનેક લોકો માર્યા ગયા છે. જો કે ઈરાન તરફથી હજુ તેની કોઈ પુષ્ટી કરાઈ નથી. અલી લારીજાની ઈરાનમાં અત્યંત મહત્વના વ્યક્તિ ગણાય છે અને અત્યાર સુધીના યુદ્ધમાં તેમાં અમેરિકા-ઈઝરાયેલના દાવા-પ્રતિદાવાઓના જવાબ વાળતા હતા. લારીજાની એ ખામેનેઈની નજીકના ગણાય છે અને તેઓ દેશની સુરક્ષા વિદેશ સહિતની નીતિઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા છે. હવે તેમનું મોત એ ઈરાન માટે મોટો ફટકો બની શકે છે. ઈઝરાયેલે અનેક ટોચના કમાન્ડરોને પણ નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. જેમાં પેરામીલીટ્રી ફોર્સના કમાન્ડર ધોલામરેથી સુલેમાનીનો પણ સમાવેશ થાય છે. જો કે આ હુમલામાં તેમાં ઘાયલ થયા છે કે મૃત્યુ પામ્યા છે તે હજુ જાહેર થયુ નથી અને ઈરાને જાહેર કર્યુ છે કે ટુંક સમયમાં લારીજાનીનો સંદેશો આવશે.