ઉત્પાદકથી આયાતકાર અને ડીસ્ટ્રીબ્યુશન સહિતની કંપનીઓ માટે ગાઈડલાઈન જાહેર
સરકારે જે ગેસ પુરવઠાના નવા નિયમ જાહેર કર્યા છે તેમાં ખાતરના પ્લાન્ટ માટે છેલ્લા છ માસના સરેરાશ વપરાશના 70 ટકા પુરવઠો તેમને ઉપલબ્ધ રહે તે જણાવ્યું છે. આ ઉપરાંત જે તે એકમની કાર્યક્ષમતાને પણ નજરમાં લેવાશે. જયારે ચા ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગીક વપરાશકારો અને ઉત્પાદકોને જે નેશનલ ગેસ ગ્રીડમાંથી પુરવઠો આપવામાં આવે છે તેમાં છેલ્લા છ માસના વપરાશના 80 ટકા પુરવઠો મળતો રહેશે. આ જ રીતે તમામ સીટી ગેસ ડીસ્ટીબ્યુશન કંપનીઓને જણાવાયું છે કે તેઓએ ઔદ્યોગીક અને કોમર્શીયલ વપરાશકારોને પણ છ માસના સરેરાશ વપરાશના 80 ટકા પુરવઠો આપવાનો રહેશે. રીફાઈનરીઓને તેમના એલએનજી સપ્લાયના પુરવઠામાં છેલ્લા છ માસનું જે સપ્લાય થયું છે તેના 65 ટકાથી ઓછુ ઉત્પાદન ન થાય તે જોવા જણાવાયું છે. આ જ રીતે સરકારે તમામ ઉત્પાદકો, આયાતકારો, ટ્રાન્સપોર્ટર, માર્કેટીંગ અને ડીસ્ટ્રીબ્યુશન કરનાર એકમોને પણ આ ધારા હેઠળ આવરી લીધા છે. જેમાં ઓએનજીસી, રિલાયન્સ, ઓઈલ ઈન્ડીયા લી., વેદાંતા અને અન્ય ઘરેલુ કુદરતી ગેસ ઉત્પાદક કંપનીઓનો સમાવેશ થાય છે. આ જ રીતે પાઈપલાઈન મારફત ગેસ પુરવઠો આપતી સરકારી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડીયા લી. અને એલએનજી ટર્મિનલ ઓપરેટર, નેચરલ ગેસ પાઈપલાઈન ઓપરેટર, સીટી ગેસ ડીસ્ટ્રીબ્યુટર કંપની વિ.ને પણ આવરી લીધી છે.