મધ્યપ્રદેશમાં રાજયસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ થવા મુદે એક તરફ ચુંટણીપંચે હજુ કોઈ નિર્ણય લીધો નથી તે વચ્ચે કોંગ્રેસે હવે આજે સુપ્રીમકોર્ટમાં આ અંગે ચુંટણી અધિકારીના નિર્ણયને પડકારતી રીટ અરજી દાખલ કરી છે પરંતુ તેના પર તાત્કાલીક સુનાવણીનો સર્વોચ્ચ અદાલતે ઈન્કાર કરી દીધો હતો અને આવતીકાલે આ રીટ પર સુનાવણી થશે. કોંગ્રેસ તરફથી વરિષ્ઠ ધારાસભ્ય અભિષેક મનુ સિંધવીએ સુપ્રીમમાં દલીલ કરી કે આજે જ આ મામલા પર સુનાવણી જરૂરી છે. કારણ કે ઉમેદવારી પાછી ખેંચવાનો આજે અંતિમ દિન છે. જો કે ચુંટણીપંચે દાવો કર્યો કે તેને હજુ રીટની કોપી મળી નથી અને તેથી તે જવાબ રજુ કરી શકે તેમ નથી. કોંગ્રેસ પક્ષે એ પણ માંગણી કરી કે જયાં સુધી સર્વોચ્ચ અદાલત આખરી નિર્ણય ન લે ત્યાં સુધી રાજયસભાની ચુંટણીના પરિણામ જાહેર ન થવા જોઈએ. જો કે સુપ્રીમકોર્ટ એ તેને પણ દાદ ન આપતા કહ્યું કે આ અંગે પહેલેથી જ કાનુન મોજૂદ છે. હવે ચુંટણીપંચ પર નજર છે તે આજે શું નિર્ણય લઈ શકે છે. જો ચુંટણીપંચ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયુ છે તે માન્ય ગણે તો ભાજપના ત્રણેય ઉમેદવાર આસાનીથી બિનહરીફ જીતી જશે. ચુંટણીપંચે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં નિર્ણય આપવાનો છે. બીજી તરફ કોંગ્રેસે હવે રાષ્ટ્રપતિ સમક્ષ પણ જવાની જાહેરાત કરી છે.