શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર ખાતે “બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવ સમાજના ઉત્કર્ષ માટે ઉમિયાધામની સેવા શ્રેષ્ઠ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

વડાપ્રધાનના “એક દિવસ, એક કલાક શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરવા કટિબદ્ધ થઈએ

સવાસો કાર રેલીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન:પાટીદાર સમાજની વિશાળ ઉપસ્થિતિ


ઉમિયા માતાજી મંદિર, સીદસર ખાતે યોજાયેલ “બિલ્વપત્ર” ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ પાટીદાર સમાજના સભ્યોને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ ઉમિયા ધામની સમગ્ર કાર્ય પ્રણાલિની સરાહના કરી હતી અને કહ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત ઉમિયાધામ સંસ્થા અભિનંદનને પાત્ર છે. ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન આરંભાયેલા અને વર્ષભર ચાલુ રહેનારા સંસ્થાના સામાજિક વિકાસના કાર્યો ખૂબ સફળ થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાનના “એક દિવસ, એક કલાક શ્રમદાન”ના સંકલ્પને ચરિતાર્થ કરવા દેશના તમામ નાગરિકોએ કટિબદ્ધ થવું જોઈએ. અને રાષ્ટ્રપિતાના “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના મંત્રને ચરિતાર્થ કરવો જોઈએ.
માં ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે વર્ષભર યોજાનારા 125 આરોગ્ય કેમ્પ, 125 બ્લડ ડોનેશન કેમ્પ, 125 પ્રાકૃતિક કૃષિ પરિસંવાદો, 125 નારી શક્તિના કાર્યક્રમો, 125 વૃક્ષારોપણના કાર્યક્રમો પાટીદાર સમાજની આગવી ઓળખ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો
સમારોહમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ બિલ્વપત્ર સમારોહમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના લોકોને સમાજિક જીવન જીવવા અને બદલાતા જતા યુગની સાથે દરેક સમાજને પોતાની પરંપરાઓ જાળવી રાખી આધુનિક યુગના રીત રિવાજો અપનાવી એકતા જાળવી રાખવાનો સામાજિક સંદેશો આપ્યો હતો. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સ્ત્રીઓને સમાજમાં પોતાનું યોગદાન આપવા અને દીકરીઓને અભ્યાસ કરવા અંગે પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. મોટા પ્રમાણમાં ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે, તે બદલ કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકાર તેમજ ખેડૂતોની પ્રશંસા કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસોથી આ અભિગમ ન માત્ર ગુજરાતના, પરંતુ દેશભરના ખેડૂતો અપનાવી રહ્યા છે. અને વિશ્વભરમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સની માંગ વધી છે. ખેડૂતો ખેતીમાં ક્રાંતિ સર્જી શકે તે માટે ભારત સરકારે નેનો યુરિયા ટેકનોલોજી વિકસાવી છે. જે માત્ર ગુજરાતમાં જ છે. તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનુ શાલ અને સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઈ કોટડીયાએ સ્વાગત પ્રવચન કર્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. અગ્રણી જેરામભાઈ વાસજાળીયા, શ્રી જે. કે. પટેલ, શ્રી મૌલેશ ઉકાણી, શ્રી ચીમનભાઈ સાપરિયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.ઉમિયાધામ સંસ્થાને રૂ. 5.51 કરોડનું દાન કરનાર દાતાશ્રી જીવણભાઈ ગોવાણીનું મુખ્યમંત્રીએ વિશેષ બહુમાન કર્યું હતું

રિલેટેડ ન્યૂઝ