ધોરાજીમાં મૃત પશુઓેના વાડાની જગ્યા ખાલી કરાવવા ચીફ ઓફિસરને રજુઆત

જૂના કોન્ટ્રાકટરે ફાળવેલ જગ્યા ખાલી નહી કરતા મુશ્કેલી થતી હોવાની રાવ

ધોરાજી શહેરમાં પાલિકા દ્વારા ફાળવવામાં આવેલ મૃત પશુઓના હાડકાના વાડાની જગ્યા જુના કોન્ટ્રાક્ટર દ્વારા ખાલી કરવામાં ન આવતી હોવાથી નવો ફાળવેલ કોન્ટ્રાક્ટરને અન્ય જગ્યાએ મૃત પશુઓના હાડકાનો નિકાલ કરવો પડે છે. જેને લઈને રહેણાક વિસ્તારમાં અનેક સમસ્યાઓ સર્જાઇ રહી હોય આ પ્રશ્ને ધોરાજી સમસ્ત મેઘવાળ સમાજના પ્રમુખ અશોકભાઈ સોંદરવા એ આંદોલનની ચીમકી ઉચ્ચારીને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. અશોકભાઈ સોંદરવા એ કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે વર્ષ 2026 માટે મૃત પશુઓના હાડકાના નિકાલ માટે નવો કોન્ટ્રાક અપાયેલ છે પરંતુ અમોને મળતી માહિતી મુજબ જુના કોન્ટ્રાક્ટર દ્વારા ફાળવેલ જગ્યા ખાલી કરવામાં ન આવતા નવા કોન્ટ્રાક્ટર દ્વારા મજબૂરન રહેણાક વિસ્તાર નજીક મૃત પશુઓના હાડકાનો નિકાલ કરવા ફરજ પડી રહી છે. જેને લઈને આ પ્રવૃત્તિ રહેણાંક વિસ્તાર નજીક બંધ થવી જોઈએ. રહેણાક વિસ્તાર આજુબાજુ માં હોવાથી બીમારીઓ ફેલાવાની શક્યતા રહે છે . ગંભીર બીમારીઓની સંભાવના પણ વધી જાય છે. આ બાબતે પાલિકા ચીફ ઓફિસરને રજૂઆતો પણ કરેલી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી. આથી આ માંગણી અન્વયે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર ઉતરવા ફરજ પડશે. તેવું જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ