પોરબંદરનાં જાણીતા એડવોકેટ દ્વારા કરેલી રજૂઆત રંગ લાવી
હાઇકોર્ટે એ-4 સાઇઝના કાગળ અને ફોન્ટ ના ઉપયોગનો પરીપત્ર એક મહિના માટે મોકુફ કર્યો છે. પોરબંદરનાં જાણીતા એડવોકેટ દ્વારા કરેલી રજૂઆત રંગ લાવી છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા.01/01/2026 થી એ-4 નાં કાગળોમાં ટાઈપીંગ કરવાનું અને ચોક્કસ ફોન્ટ વાપરવાનો જે પરિપત્ર બહાર પાડેલો હતો તે સામે પોરબંદરનાં જાણીતા સીનીયર એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં લેખિતમાં ઈ-મેઈલ મારફતે વિરોધ પ્રદર્શિત કરેલ હતો અને બાર કાઉન્સિલનાં ચેરમેન જે. જે. પટેલ અને સભ્ય મુકેશ કામદારને પણ ફોનથી રજૂઆત કરી ઈ-મેઇલથી જાણ કરેલી હતી અને આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક એડવોકેટોની મુશ્કેલીનું નિવારણ કરવા માટે રજૂઆત કરેલી હતી. તેમજ અલગ-અલગ બાર એસોશિએશનનાં પ્રમુખોને પણ વિરોધ કરવા માટે પત્રો લખેલા હતા.
તે અનુસંધાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.0ર/01/2026 ના રોજ પરિપત્ર બહાર પાડી એ-4 નાં કાગળો તથા ચોક્કસ ફોન્ટ વાપરવાનો પોતાનો પરિપત્ર એક મહિના માટે એટલે કે તા.31/12/2026 સુધી મુલતવી રાખેલ છે અને તે રીતે એડવોકેટ ભરતભાઈ લાખાણીએ આપેલી લડતનો હાઈકોર્ટ દ્વારા પ્રતિસાદ આપી અને એડવોકેટોની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને તેમજ બાર કાઉન્સિલનાં ચેરમેન જે. જે. પટેલ દ્વારા પણ હાઈકોર્ટમાં અગાઉનો પરિપત્ર રદ્દ કરવા માંગણી કરેલી હોય અને તે રીતે હાઈકોર્ટ દ્વારા ગુજરાતની તમામ કોર્ટને ઈ-મેઈલ દ્વારા જાણ કરીને તા.31/01/2026 સુધી અગાઉની જેમ જ કોઈપણ પેપરમાં અને કોઈપણ ફોન્ટમાં ટાઈપ કરેલી અરજીઓ કોર્ટમાં આપી શકવાની છૂટ આપેલ છે અને તે રીતે પોરબંદર જેવા નાના શહેરમાંથી ઉઠેલો વિરોધને આખા ગુજરાતનાં તમામ એડવોકેટને તેનો લાભ મળેલ છે.
