સલાયાના મીઠા પાણીના બે તળાવોની દયનીય સ્થિતિ

સાફ સફાઈ કરી તળાવને ઉંડુ ઉતારવા કરાઈ માંગ : બન્ને તળાવ 150 વર્ષ જૂના

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરમાં દરિયા કિનારાની નિકટતાને કારણે ભૂગર્ભ જળમાં પીવાલાયક પાણી ઉપલબ્ધ નથી. આ સમસ્યાના નિવારણ માટે વર્ષો પહેલા બે મીઠા પાણીના તળાવ બનાવવામાં આવ્યા હતા. જોકે, હાલમાં આ તળાવોની સ્થિતિ અત્યંત દયનીય છે, જેમાં ગાંડી વેલ અને કચરાના ઢગલા જમા થયા છે, જેના કારણે ભૂગર્ભ જળમાં ખારાશ વધી રહી છે.આ બે તળાવો પૈકી એક હનુમાન મંદિર પાસે ’ગોળ તળાવ’ તરીકે ઓળખાય છે, જ્યારે બીજું પાળેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલું મોટું તળાવ છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ બંને તળાવોની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમાં મોટા પ્રમાણમાં લીલી ગાંડી વેલ ઊગી નીકળી છે અને લોકો દ્વારા કચરો નાખીને તેને ગંદકીથી ભરી દેવામાં આવ્યા છે.ગાંડી વેલના કારણે તળાવનું પાણી ઝડપથી સુકાઈ જાય છે. હાલમાં આ બંને તળાવોમાં પાણી નથી, ફક્ત ગાંડી વેલ અને કચરાના ઢગલા જ જોવા મળે છે. તળાવોમાં પાણીનો સંગ્રહ ન થવાને કારણે સલાયામાં ભૂગર્ભ જળમાં ખારાશનું પ્રમાણ વધી ગયું છે, જેના પરિણામે કૂવામાંથી મળતું પાણી ન્હાવા કે કપડા ધોવા જેવા રોજિંદા કાર્યો માટે પણ યોગ્ય રહ્યું નથી.આ તળાવો આશરે 150 વર્ષ પહેલા મહાનુભાવો દ્વારા ગ્રામજનોને પીવાનું પાણી મળી રહે તેવા શુભ હેતુથી બંધાવવામાં આવ્યા હતા. તળાવની દિવાલમાં તે સમયનો એક શિલાલેખ પણ જોવા મળે છે, જે તેના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. ગ્રામજનો અને તંત્ર દ્વારા તેનું જતન થવું અત્યંત આવશ્યક છે.સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, આવનારા ચોમાસા પહેલા આ બંને તળાવોમાંથી ગાંડી વેલ અને કચરાના ઢગલા દૂર કરીને સફાઈ કરવામાં આવે. જો તળાવોમાંથી કાંપ કાઢીને તેને ઊંડા ઉતારવામાં આવે તો વરસાદી પાણીનો સંગ્રહ વધુ સમય સુધી થઈ શકે છે અને સલાયા ગામના ભૂગર્ભ જળ સુધરી શકે આ અંગે તંત્ર દ્વારા ઝડપથી પગલાં લેવાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ