સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી ના મંજુર કરતી કોર્ટ

ફોડના આવેલા નાણાં ઉપાડી ખાતાનો ગેર ઉપયોગ કરતો હોવાનું ખુલતા ધરપકડ થઈ’તી

સાયબર ક્રાઇમના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજુર કરતો હુકમ કર્યો છે. રાજ્ય પોલીસ વડા અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીમાંથી સાયબર ફ્રોડથી મેળવેલ નાણાના ટ્રાન્જેક્શન બાબતે તપાસ કરી કોઈ ટ્રાન્જેક્શન ધ્યાનમાં આવેતો કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જે સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન એચ.ડી.એફ.સી. બેન્ક જસદણ બ્રાન્ચમાં આવેલ ખાતાધારકના ખાતામાં સાયબર ફ્રોડથી નાણા આવ્યા હોવાનું ખુલતા પોલીસ તપાસમાં ખાતું હરેશભાઈ બાબુભાઈ રૂપારેલીયા (રહે. પાંચવડા તા.જસદણ ચલાવતો હોવાનું ખુલ્યું હતું. જે ખાતામાં રૂ.12.50 લાખ જેવી સાયબર ફ્રોડથી આવેલ રકમ ઉપાડી લીધા હતા અને તે ખાતું સાયબર ક્રાઈમના ગુનામાં ઉપયોગમાં લેતો હોવાનું ખુલતા જસદણ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ જયંતીભાઈ ધીરુભાઈ મજીઠીયાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી હરેશભાઈ રૂપારેલીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આરોપીએ જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આરોપી વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગંભીર ગુનો છે અને આવા સાયબર ક્રાઇમના ગુનાઓ દિવસેને દિવસે વધતા જાય છે તેથી આવા ગુનાઓ ઉપર લગામ રાખવા માટે જામીન અરજી રદ કરવી જોઈએ અને જો તેને જામીન આપવામાં આવશે તો આરોપી ફરી આવા ગુના કરશે અને તેને કાયદાનો કોઈ ડર રહેશે નહી તેવી રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ