વેરાવળમાં ઘરેથી ભાગેલા યુવકે નશાની હાલતમાં હોસ્પિટલના ત્રીજા માળેથી ઝંપલાવતા મોત

નશો, પારિવારિક ઝઘડાથી તનાવમાં રહેલા યુવકે અંતિમ પગલું ભયુર્ં : દારૂ અને ગાંજો પી ગયેલો દિકરો ક્યારે ઘરની બહાર નીકળી ગયો તેની ખબર જ ન પડી : મૃતકની માતા

વેરાવળની સિવિલ હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે પારિવારિક ઝઘડા અને નશાની હાલતમાં એક 19 વર્ષીય યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે પટકાઈ ને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બનેલ છે. હોસ્પિટલ પરિસરમાં બનેલી આ સનસનાટીપૂર્ણ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું ટૂંકી સારવાર બાદ કરુણ મૃત્યુ નિપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વેરાવળ સિવિલ હોસ્પિટલ નજીક આવેલા મફતિયાપરા રિંગ રોડ વિસ્તારમાં રહેતો કરણ સોલંકી (ઉ.વ.19-20) રવિવારે વહેલી સવારે અંદાજે સાડા ત્રણ થી ચાર વાગ્યા ના સમયગાળા દરમિયાન હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા. પ્રાથમિક ચર્ચા મુજબ, યુવક ઘરમાં ચાલી રહેલા પારિવારિક ઝઘડાના કારણે ભારે તણાવમાં હતો અને નશાની હાલતમાં હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. રેલિંગ પાસે લથડિયાં ખાતા યુવકને બચાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. હોસ્પિટલમાં રાત્રી ફરજ પર હાજર તબીબ ડો. ઉમેશ દરી ના જણાવ્યા મુજબ, યુવક સીધો હોસ્પિટલના ત્રીજા માળે પહોંચી ગયો હતો. તે નશામાં હોવાથી લથડિયાં ખાતો ખાતો વારંવાર ગેલેરી ની રેલિંગ તરફ જઈ રહ્યો હતો. ત્યાં હાજર અન્ય દર્દીઓના સગાઓ અને મેડિકલ સ્ટાફ તેની આ સામાન્ય હિલચાલ જોઈ તેને નીચે ઉતારવા તથા સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક કોઈનું પણ માન્યો ન હતો અને તેણે અચાનક જ ત્રીજા માળેથી નીચે મોતની છલાંગ લગાવી દીધી હતી. હોસ્પિટલ સ્ટાફ ની જહેમત છતાં આંતરિક ઈજાઓ જીવલેણ નીવડી હતી. યુવક ઉપર થી નીચે પટકાતા ની સાથે જ હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી અને નાસભાગ નો માહોલ સર્જાયો હતો. લોહીથી લથબથ અત્યંત ગંભીર હાલતમાં યુવક ને હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક ઈમરજન્સી સારવાર માટે ખસેડ્યો હતો. ફરજ પરના તબીબે સ્ટાફે યુવકનો જીવ બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ શરીરના ભાગે થયેલી ગંભીર આંતરિક ઈજાઓના કારણે ટૂંકી સારવાર દરમિયાન જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
વેરાવળ હોસ્પિટલમાં ફરજ પરના તબીબ એ જણાવ્યું હતું કે, “યુવક અહીંયા મફતિયાપરામાં જ રહેતા હતો એવું કહેવાય છે કે છેલ્લા પાંચ-સાત દિવસથી એમના ફેમિલીમાં અંદરોઅંદર તણાવને એવું બધું ચાલુ હતું, એના કારણે એના દારૂની વધારે લત હતી એના કારણે નશામાં એણે આવું પગલું ભર્યું હોય તેવું જાણવા મળ્યું છે”
મૃતક કરણની માતાના જણાવ્યા મુજબ ’એમાં એવું થયું છે કે રાતે એ દારૂ અને ગાંજો બેય સાથે પી ગયો,રાતે અમે ઘણું એને બાંધ્યો હતો. મેં કીધું આને બાંધીને અને પોલીસ ચોકીમાં મૂકી આવી અથવા પોલીસવાળાને બોલાવીએ તો લઈ જાય. પોલીસવાળા લેવા આવ્યા નહીં અને આ છોકરો મને હાથ તાળી દઈ ને ક્યારે ભાગી ગયો એ કંઈ ખબર ન પડી. અમે ગોતવા નીકળ્યા. ત્યાં ભાઈ આવ્યા મને કીધું કે ઉઘાડા ડીલે એક છોકરો છે બૂમો પાડતો હતો એને દવાખાનાની અગાશી પરથી કૂદકો છે માર્યો છે. મારા છોકરાનું નામ કરણ હતું અને 18 વર્ષનો હતો. એ મજૂરી કરતો હતો, મચ્છી ના કામે જતો હતો અને ગાડી ભરવા જતો હતો. આ છોકરો મને હાથ તાળી દઈ ને ક્યારે ભાગી ગયો એ કંઈ ખબર ન પડી. અમે ગોતવા નીકળ્યા ખબર પડી કે એણે દવાખાનાની અગાશી પરથી કૂદકો માર્યો છે.
પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તમામ પાસાઓ પર તપાસ શરૂ કરી છે. આ હૃદય કંપાવનારી બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને કાયદેસરની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક કરણ સોલંકી ના શબ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે સમગ્ર બનાવ ના તમામ પાસાઓ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ વધુ સ્પષ્ટ થનાર છે.

રિલેટેડ ન્યૂઝ