સોમનાથમાં મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને 60 ટન રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો

સોમનાથના આંગણે રેતીમાંથી તૈયાર થશે વિવિધ કલાકૃતિઓ

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ પર્વમાં ભાવિકોને સોમનાથના આંગણે ઓરિસ્સાથી પધારેલા સેન્ડ આર્ટિસ્ટની કલાકૃતિઓ પણ માણવા મળશે.
કલાકૃતિઓ અંગે સેન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહૂએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે અમને મહાશિવરાત્રિના આ પર્વ પર સોમનાથ આવવાનું સદનસીબ પ્રાપ્ત થયું છે. અહીં અમને ત્રણ સ્કલ્પચર આર્ટ બનાવવાની તક મળી છે. અન્ય રેત કલાકારોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, મારી સાથે ઓરિસ્સાથી સુબોલ્લા મહારાણા અને જીતેન્દ્ર મહારાણા આવ્યા છે. રેતશિલ્પના માધ્યમથી અમે અહીં અમારી કલાનું પ્રદર્શન કરીશું.
આ રેતશિલ્પ તૈયાર કરવામાં 60 ટન રેતી અને આશરે 2 થી 3 હજાર લીટર પાણીનો વપરાશ થશે. અમે ત્રણ દિવસમાં અમે ત્રણ આર્ટ તૈયાર કરીશું. ગણપતિજી, શિવ-પાર્વતી અને કાર્તિકેયના સ્કલ્પચરનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે અમે એક આર્ટ 24 કલાકમાં તૈયાર કર્યું છે.
ખૂબ જ મહેનત થી આ સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવે છે. રાત-દિવસની મહેનતથી તૈયાર કરાયેલા આ આર્ટમાં કોઈ કેમિકલનો વપરાશ કરવામાં આવતો નથી. અન્ય આર્ટમાં સોમનાથ મંદિર અને શિવતાંડવની કૃતિઓ તૈયાર કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ